અફઘાનિસ્તાનની સામે રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે તથા ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડની સામે ટી-૨૦ શ્રેણી માટે ભારતીય ટીમની આજે જાહેરાત કરી દેવામાં આવી હતી. અફઘાનિસ્તાનની સામે ૧૪મી જૂનથી બેંગ્લોરમાં શરૂ થતી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનું નેતૃત્વ રહાણે કરશે. આ એક માત્ર ટેસ્ટ મેચમાં કરુણ નાયર અને કુલદીપ યાદવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બેંગ્લોરમાં આજે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની પસંદગી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આયર્લેન્ડ-ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પણ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. અફઘાનિસ્તાન ટેસ્ટ દરમિયાન ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી ઇંગ્લેન્ડમાં સરે માટે કાઉન્ટી ક્રિકેટ રમશે. આજ કારણસર તે ટીમના હિસ્સા તરીકે રહેશે નહીં. કોહલી ઉપરાંત દક્ષિણ આફ્રિકાની સામે ટેસ્ટ શ્રેણીમાં ભારતનો હિસ્સો રહી ચુકેલા બુમરાહ અને ભુવનેશ્વર પણ અફઘાનિસ્તાન ટેસ્ટ ટીમ માટે સામેલ કરાયા છે. શાર્દુલ ઠાકુરને ઝડપી બોલર અને કુલદીપને સ્પીનર તરીકે સામેલ કર્યો છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે રમાનારી ટ્વેન્ટી શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં સમગ્ર ટીમ રમશે. વિરાટ કોહલી કેપ્ટન તરીકે રહેશે. આયર્લેન્ડની સામે બે ટ્વેન્ટી મેચો રમાશે. જ્યારે ઇંગ્લેન્ડની સામે ત્રણ ટ્વેન્ટી મેચો રમાશે. આયર્લેન્ડ પ્રવાસ ઉપર વનડે માટે પણ કોહલી કેપ્ટનશીપમાં રહેશે. ટી-૨૦માં સુરેશ રૈનાને સામેલ કરાયો છે. વનડે ટીમમાં રાયડુ અને શ્રેયસ અય્યરનો સમાવેશ કરાયો છે.