વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં મહાસમયને જીતવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. ઝંઝાવતી ચૂંટણી પ્રચારમાં મોદી જોરદારરીતે વ્યસ્ત થઇ ગયા છે. મોદીએ આજે અનેક રેલીઓમાં પ્રચાર કરીને કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા.
મોદીએ વિજયપુર, કોપ્પલ સહિતના વિસ્તારોમાં જાહેરસભાઓ કરી હતી. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અને તેમના મુખ્યમંત્રી અહંકારમાં ડૂબેલા છે પરંતુ પ્રજા તેમને સત્તામાંથી ફેંકી દેશે.
મોદીએ કોપ્પલમાં ખેડૂતો અને ગરીબોના બહાને કોંગ્રેસ પર પ્રહાર કરતા નજરે પડ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, કર્ણાટકના ખેડૂત પાણીને લઇને પરેશાન થયેલા છે અને વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સ્લીપમોડમાં છે. કંઇ પણ કરી રહ્યા નથી. કોંગ્રેસ પાર્ટીને ફેંકી દેવા માટે મોદીએ અપીલ કરી હતી. મોદીએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, તેઓ પોતાની માતાને લાકડા પર ભોજન બનાવતા જોયા છે. માતા પરેશાની ઉઠાવે છે પરંતુ બાળકોને ભોજન કરાવે છે. આવી સ્થિતિમાં તેઓએ નક્કી કર્યું હતું કે, ગરીબથી ગરીબ માતાને પણ લાકડાના ચુલામાંથી મુક્તિ અપાવવામાં આવશે. મોદીએ કહ્યું હતું કે, ભીષણ ગરમીમાં ખેડૂતોની સિંચાઈની વ્યવસ્થા માટે રાજ્ય સરકાર કામ કરી રહી નથી. ખેડૂતો પાણી માટે પરેશાન થયેલા છે. તેમણે કહ્યું હતું કે, તેઓએ મન કી બાત કાર્યક્રમમાં મલ્લમાનો એક વખતે ઉલ્લેખ કર્યો હતો. આ નાનકડી બાળકીએ શૌચાલય માટે જીદ પકડી હતી અને સમગ્ર દેશને રસ્તો બતાવ્યો હતો. લાલ કિલ્લા પરથી જ્યારે તેઓએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી ત્યારે નામદાર લોકોએ આની મઝાક ઉડાવી હતી. જે લોકો સોનાની ચમચી લઇને જન્મ્યા છે તેમને ગરીબી અંગે જાણ હોઈ શકે નહીં. ગરીબો પ્રત્યે તેમની સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. કોંગ્રેસની સરકારને ભ્રષ્ટાચાર કરવાથી સમય મળતો નથી જેથી તે ખેડૂતોની ચિંતા કરતી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, બીએસ યેદીયુરપ્પાના નેતૃત્વમાં ખેડૂતોની સરકાર બનાવવાની જરૂર છે. એનડીએસ સરકાર એક સારી પાક વિમા યોજના લઇને આવી રહી છે. ખેડૂતોની સ્થિતિ મજબૂત કરવાની જરૂર છે.
પીએમ કૃષિ સિંચાઈ યોજના પર તેમની પાર્ટીએ કામ શરૂ કર્યું છે. પશુપાલન અને ડેરીફાર્મને વધારવા માટે ૧૦૦ કરોડ રૂપિયાની રોકાણની યોજના તૈયાર કરવામાં આવી છે. યેદીયુરપ્પા આ પ્રકારની યોજના તૈયાર કરી રહ્યા છે.
મોદીએ વિજયપુરામાં પણ ઝંઝાવતી પ્રચાર કરીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ભાષણોમાં પુત્રીઓની વાત કરે છે પરંતુ ત્રિપલ તલાકનો વિરોધ કરે છે. મુસ્લિમ પુત્રીઓને ત્રણ તલાકથી રાહત આપનાર બિલનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવે છે.
નામ લીધા વગર રાહુલ અને સોનિયા ગાંધી ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા કહે છે કે, કર્ણાટકમાં પુત્રથી કંઇપણ થનાર નથી. માતાને લઇ જવાથી કદાચ જામીન બચી શકે છે. વાસ્તવિકતા એ છે કે, કોંગ્રેસ પાર્ટીને વંશવાદ ખતમ કરી દેશે. મહિલા સુરક્ષાના મુદ્દા ઉપર વાત કરતા તેમણે કહ્યું હતું કે, પાર્ટીના વડા લોકોની વચ્ચે જવાના બદલે ઓફિસોમાં બેસે છે અને યોજના બનાવે છે. ૧૫મી તારીખના દિવસે જ્યારે પરિણામ આવશે ત્યારે ઇવીએમ ઉપર દોષના ટોપલા નાંખવામાં આવશે. તેઓ વિકાસના નામ ઉપર મત માંગી રહ્યા છે જ્યારે કોંગ્રેસમાં તેમના નામદાર નેતા પ્રત્યે વિશ્વાસ દેખાઈ રહ્યો નથી. પુત્રીઓ પર દુષ્કર્મના મામલામાં તેઓ ફાંસીની સજા આપવાની જોગવાઈ કરી ચુક્યા છે. ધર્મ અને સંપ્રદાયની નહીં ગણીને પુત્રીને તમામની ગણવી જોઇએ. વિજયપુર માટે મોટી જાહેરાત કરતા મોદીએ કહ્યું હતું કે, જો કર્ણાટકમાં ભાજપની સરકાર બનશે તો ફુડ પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત હોર્ટિકલ્ચરને પ્રોત્સાહન અપાશે. ભૂમિ વગરના ખેડૂતોને એક લાખ રૂપિયાનું વિમા અપાશે.