કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાનથી પહેલા છેલ્લી ઘડીએ ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્યરીતે મોરચા સંભાળી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, મનમોહનસિંહ અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા જવાબદારી સંભાળી રહ્યા છે. રાજ્યના કોલાર પહોંચેલા રાહુલ ગાંધીએ બળદગાડી અને સાયકલ પર સવાર થઇને ભાષણ આપ્યું હતું અને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. મોદી પર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, તેઓ હંમેશા સ્પીકર અથવા તો એરપ્લેન મોડમાં રહે છે. મોબાઇલ ફોનમાં ત્રણ મોડ રહે છે જેમાં વર્કમોડ, સ્પીકર મોડ અને એરપ્લેન મોડનો સમાવેશ થાય છે પરંતુ મોદી ક્યારે પણ વર્કમોડનો ઉપયોગ કરતા નથી. તે માત્ર સ્પીકર અથવા તો એરપ્લેન મોડનો ઉપયોગ કરે છે. નરેન્દ્ર મોદી છેલ્લા ચાર વર્ષથી વડાપ્રધાન છે. તેઓ પોતાની એવી યોજનાઓ રજૂ કરે જે લોકોના હિતમાં રહી હોય. કોંગ્રેસ વડાએ ભ્રષ્ટાચારના મુદ્દા પર ભાજપને ઘેરતા કહ્યું હતું કે, કર્ણાટકમાં યેદીયુરપ્પાએ સૌથી ભ્રષ્ટાચારી સરકાર ચલાવી હતી. એક એવો સમય હતો જ્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધરાશાયી થઇ ગઈ હતી. કર્ણાટકની પ્રજા જાણે છે કે, યેદીયુરપ્પાએ શું કર્યું છે. રાહુલે કહ્યું હતું કે, યેદીયુરપ્પાએ કેટલા પૈસા ચોર્યા છે, કેટલી વખત જેલમાં ગયા છે અને તેમની લાયકાત શું છે તે અંગેની માહિતી મોદીએ આપવી જોઇએ. રાહુલના મોંઘવારીના મુદ્દા ઉપરભાજપને ઘેરતા તેમણે કહ્યું હતું કે, દુનિયાભરમાં પેટ્રોલની કિંમત સસ્તી થઇ રહી છે જ્યારે ભારતમાં પેટ્રોલની કિંમત મોંઘી થઇ રહી છે. આ મુદ્દે સરકારે જવાબ આપવા જોઇએ. મોદી ગરીબોના પૈસામાં લૂંટ ચલાવી રહ્યા છે. તેમને વિકાસના નામ ઉપર કંઇ પણ મળી રહ્યું નથી. રાહુલે પોતાના ભાષણમાં સિદ્ધારમૈયાની સરકારની યોજનાઓ અને ઇન્દિરા કેન્ટીનનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, કર્ણાટકમાં વિચારધારાની લડાઈ ચાલી રહી છે. એકબાજુ સંઘ અને ભાજપની નાગપુરની વિચારધારા છે. બીજી તરફ કોંગ્રેસની વિચારધારા છે. જનતા દળ હાલમાં વચ્ચેના ગાળામાં છે. જનતા દળ તેની સાથે છે તે અંગે સસ્પેન્સની સ્થિતિ છે. રાહુલે કહ્યું હતું કે, કર્ણાટકમાં કોંગ્રેસ એક સાથે છે. ચૂંટણી બાદ જ ભાજપને જાણવા મળશે કે કોંગ્રેસ પાર્ટી કેટલી મજબૂત છે. રાહુલે જેડીએસને પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, તેઓ જનતા દળ સેક્યુલર છે કે પછી જનતા દળ સંઘ પરિવાર છે. તેમના મુખ્યમંત્રીપદના ઉમેદવાર પણ યેદીયુરપ્પા છે કે કેમ તે અંગે ખુલાસો કરવા રાહુલે પડકાર ફેંક્યો હતો.