હરિયાણાના ગુરુગ્રામમાં હાલના દિવસોમાં શુક્રવારની નમાઝમાં હિન્દુ સંગઠન તરફથી અડચણો પહોંચાડવામાં આવ્યા બાદ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આજે પ્રતિક્રિયા આપી હતી. મનોહરલાલ ખટ્ટરે આજે કહ્યું હતું કે, નમાઝ મસ્જિદ અથવા ઇદગાહની અંદર જઇને અદા કરવી જોઇએ. ખટ્ટરે કહ્યું હતું કે, આ અમારી ફરજ છે કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવામાં આવે. ખુલ્લામાં નમાઝ અદા કરવાની હાલમાં બાબત જોવા મળી રહી છે. જાહેર સ્થળો પર નમાઝ અદા કરવાના બદલે મસ્જિદ અને ઇદગાહમાં જવું જોઇએ. શુક્રવારના દિવસે ગુરુગ્રામમાં હિન્દુવાદી સંગઠનોના કેટલાક લોકો તરફથી અનેક વિસ્તારોમાં નમાઝમાં અડચણો પહોંચાડવાની ઘટના સપાટી ઉપર આવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં ભીડ તરફથી જયશ્રી રામ અને બાંગ્લાદેશી પરત ફરો તેવા નારા લગાવવામાં આવ્યા હતા. નમાઝમાં અડચણો ઉભી કરવામાં આવી હતી જેના લીધે તંગ સ્થિતિ ઉભી થઇ ગઈ હતી. ખાસ કરીને આ ઘટનાઓ શહેરના વ્યસ્ત વિસ્તારોમાં થઇ હતી જેમાં ઇફ્કો ચોક, ઉદ્યોગ વિહાર, લેસર વેલી પાર્કનો સમાવેશ થાય છે. કેડર ટેક્સસ્પેસની બહાર એક પાર્કમાં કોર્પોરેટ કારોબારના એક ગ્રુપ તરફથી ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નમાઝ અદા કરવાની ફરજ પડી હતી. શુક્રવારના દિવસે ગુડગામમાં જે ઘટના બની હતી તેની તૈયારી હાલમાં ચાલી રહી હતી. છઠ્ઠી એપ્રિલના દિવસે વજીરાબાદ ગામના કેટલાક લોકોએ સેક્ટર ૪૩ના ગ્રાઉન્ડમાં નમાઝ અદા કરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ હતી. છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હિન્દુવાદી સંગઠનોના કાર્યકરોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ સંયુક્ત હિન્દુ સંઘર્ષ સમિતિના બેનર હેઠળ દેખાવો કરાયા હતા.
આગળની પોસ્ટ