ત્રિપુરાના ઉન્નાકોટી જિલ્લાના મગુરુલી સરહદી ચોકી ઉપર ફરજ બજાવતા સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ના એક જવાને ત્રણ સાથીઓની ઘાતકી હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે. અગરતલાથી પ્રાપ્ત અહેવાલ મુજબ સરહદ સુરક્ષા દળના એક જવાને હેડકોન્સ્ટેબલ સહિત ત્રણ અન્ય જવાનો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. ત્રણ જવાનોની હત્યા કરી દીધા બાદ આ જવાને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ આજે વહેલી પરોઢે એક વાગે બન્યા બાદ આ મામલામાં તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારી શંકર દેવનાથે માહિતી આપતા કહ્યું છે કે, હેડકોન્સ્ટેબલની ગોળીબારની ઘટનામાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીરરીતે ઘાયલ થયેલા એક જવાનનું મોત ઉનાકોટીની જિલ્લા હોસ્પિટલમાં થયું હતું.
ત્રીજા જવાનનું મોત અગરતલાની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે, આ સમગ્ર મામલાની ઉંડી તપાસ ચાલી રહી છે. વિસ્તૃત માહિતી હજુ સુધી મળી શકી નથી. સરહદી સુરક્ષા દળના એક ઉચ્ચ અધિકારીએ પણ આ બનાવને લઇને અહેવાલને સમર્થન આપ્યું છે. બીજી બાજુ આ ઘટનાના સંદર્ભમાં હત્યા કરનાર જવાન અને હુમલામાં શિકાર રહેલા જવાનોના સંદર્ભમાં માહિતી મળી શકી નથી. હેડકોન્સ્ટેબલ અને અન્યોને કયા કારણસર સાથી જવાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા તે અંગે પણ હજુ સુધી કારણ જાણવા મળ્યું નથી. આ બનાવથી ત્રિપુરામાં બીએસએફની છાવણીમાં સોપો પડી ગયો છે. બીએસએફના જવાનો અને અન્ય સુરક્ષા જવાનોમાં આ પ્રકારની મોતની ઘટનાઓ પણ હાલમાં સપાટી ઉપર આવી છે. આના માટે માનસિક હતાશા અને અન્ય કારણો પણ ખુલ્યા છે.