પશ્ચિમ બંગાળમાં આવેલું દાર્જિલિંગ પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ ધરાવે છે. સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન ચાલતી તહેવારોની સિઝન પ્રવાસીઓમાં ઘણી લોકપ્રિય છે અને સ્થાનિક વેપારીઓ તથા નાના ધંધાદારીઓ માટે આવક રળવાનો મુખ્ય સમયગાળો છે. પરંતુ અલગ ગોરખાલેન્ડની માંગણી સાથે હાલમાં ચાલી રહેલું આંદોલન આસપાસના પહાડો સુધી વિસ્તરતા પ્રવાસન બિઝનેસને ગંભીર ફટકો પડ્યો છે.
દાર્જિલિંગ અને આસપાસના પહાડોમાં આવેલી હોટેલ્સની ક્ષમતા અંદાજે ૧૦,૦૦૦ બેડ/નાઇટ છે અને તેઓ વર્ષે લગભગ રૂ.૧૫૦ કરોડનો બિઝનેસ કરે છે. તેમાં તહેવારોની સિઝનનો હિસ્સો ૩૦થી ૩૫ ટકા હોય છે.૧૫ સપ્ટેમ્બરથી સીઝન શરૂ થતી હોય છે પણ તેનું બુકિંગ માર્ચથી શરૂ થઈ જાય છે અને જુલાઈમાં પિક સ્તરે પહોંચી જાય છે. એમ ઈસ્ટર્ન હિમાલયન ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટર્સ એસોસિયેશનના પ્રેસિડન્ટ સમ્રાટ સાન્યાલે કહ્યું હતું. સાન્યાલે જણાવ્યું કે, આ વખતે અમારા બિઝનેસને ગંભીર ફટકો પડશે.
તહેવારોની સીઝનની બુકિંગ-ક્વેરી ઘણી ઓછી છે.ગોરખા જનમુક્તિ મોરચાની અચોક્કસ મુદતની હડતાળ ૧૨મા દિવસમાં પ્રવેશી છે અને તેનો અંત ક્યારે આવશે તે સ્પષ્ટ નથી. આ ચળવળમાં અન્ય રાજકીય પક્ષો પણ જોડાયા હોવાથી તે વધારે ઉગ્ર બની છે.પાડોશી રાજ્ય સિક્કીમે પણ ટેકો આપ્યો હોવાથી ચળવળ વધારે સક્રિય થઈ છે.
મોરચાના વડા બિમલ ગુરંગ કહે છે કે, અમારી એક જ માંગણી છેઃ ગોરખાલેન્ડને અલગ રાજ્ય બનાવવાની. આ લક્ષ્ય પાર પડશે ત્યારે જ અમે અટકીશું. બીજી બાજુ, રાજ્ય સરકાર તરફથી પણ આની સામે કેવાં સંભવિત પગલાં ભરવામાં આવશે તેના કોઈ સ્પષ્ટ સંકેત મળતા નથી. આ પરિસ્થિતિની સીધી અસર દાર્જિલિંગના પ્રવાસન ઉદ્યોગ પર પડી છે.અગ્રણી ટ્રાવેલ કન્સલ્ટન્ટ રાજ બાસુએ કહ્યું હતું કે, માર્ચમાં બુકિંગની શરૂઆત સારી થઈ હતી પણ અત્યારે આંદોલન ચાલી રહ્યું હોવાથી બુકિંગમાં ઘટાડો થયો છે. આગામી ટ્રાવેલ માટ્ર્સમાં પણ સારો બિઝનેસ મળવાની અપેક્ષા નથી.કેટલાક ટૂર ઓપરેટર્સે જણાવ્યું હતું કે, જે પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું હતું તેઓ હવે બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે. ઘણા ઓપરેટર્સનાં તો ૫૦ ટકા જેટલાં બુકિંગ કેન્સલ થયાં છે અને તેમણે રિફંડ આપવું પડ્યું છે.
ઘણા ઓપરેટર્સે ખોટ ખાવાનો વારો આવ્યો છે.પશ્ચિમ બંગાળના પ્રવાસનમંત્રી ગૌતમ દેબે કહ્યું હતું કે, પ્રવાસીઓ માટે અમે તમામ સંભવિત વ્યવસ્થા માટે પગલાં ભરીશું. પણ સરકારના આ પ્રયાસ તહેવારોની સીઝન માટે પ્રવાસીઓને આકર્ષવા માટે પૂરતા નથી.