ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતી લોકોને શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે ભાજપ સરકાર અને મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, નર્મદા યોજનાને રાજકીય અખાડામાં ધકેલી દેવાના પ્રયાસો થયા છે. લોકસભાની ચૂંટણીનો ફંડ જળસંચયમાંથી ઉભુ કરવાનો પ્રયાસ ભાજપે હાથ ધર્યો છે. આજ રોજ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, પૂ. રવિશંકર મહારાજના માર્ગદર્શન અને પૂ. ઇન્દુચાચાના સંઘર્ષે દરેક ગુજરાતીને ગૌરવ અપાવી રાજ્યની હુકુમત અપાવી ત્યારે આજે ગુજરાતના સ્થાપના દિને સહુ ગુજરાતી ભાઈ-બહેનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતની સ્થાપનાને આજે ૫૮ વર્ષના વાણા વાયા રવિશંકર મહારાજ, ઇન્દુચાચા અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાથી શરૂ થયેલી ગુજરાતની ગૌરવની વિકાસ યાત્રામાં ચડતી અને પડતી વચ્ચે પણ જે લોકોએ તન, મન અને ખંતથી ગુજરાતને ઘડવા માટો યોગદાન આપ્યું છે તેવા તમામ યોદ્ધાઓ અને સારથીઓને કોંગ્રેસના કાર્યકર્તા તરીકે સલામ કરું છું. ગુજરાતનું ગૌરવ રાજ્ય અને રાષ્ટ્રના સીમાડાઓ સુધી વધારવામાં દેરક ગુજરાતીનો ફાળો ખુબ મહત્વનો રહ્યો છે. દૂધમાં સાકર ભળે તે રીતે તમામ ભેદભાવ, જાતિ, ધર્મ અને પ્રાંતના લોકોને પોતાનામાં સમાવી ગુજરાતને ચાર ચાંદ લગા તેવી પ્રતિષ્ઠા અપાવવાનું કામ કર્યું છે ત્યારે ગુજરાતીઓએ સ્વયં પ્રકાશિત કરેલી ચાંદનીને દાગ લગાડવાનું કામ કોઇએ પણ ન કરવું જોઇએ. ગુજરાતીઓએ ગુજરાતને ઘડવા માટે અને પોતાની અધૂરી રહેલી અપેક્ષાઓને પૂર્ણ કરવા ભારતીય જનતા પાર્ટીને સત્તાનું સુકાન સોંપ્યું, પરંતુ ભાજપ સરકારમાં કમનસીબે પ્રજાના સેવક બનીને કામ કરવાનું સ્વપ્ન દેખાડનાર આજે મહારાજા બનીને કામકાજ કરી રહ્યા છે, પરિણામે સામાન્ય માણસનો અવાજ રુંધાઈ છે, સામાન્ય માણસની અપેક્ષાોને પૂર્ણ કરવામાં ભાજપ સરકાર તમામ ક્ષેત્રે સદંતર નિષ્ફળ નીવડી છે. આ નિષ્ફળતાઓને છુપાવવા માટે સત્તાનું સુકાન સંભાળતા અહંકારી શાસકો દરરોજ ઉઠીને વાયદાઓનો વેપાર કરે છે અને ગુજરાતની વેપારી શાખને કલંક લગાડવાનું કામ ભાજપ સરકાર દ્વારા થઇ રહ્યું છે.
પાછલી પોસ્ટ