શહેરના શાહીબાગ વિસ્તારમાં પોલીસ કમિશનર કચેરી પાસે રેલ્વે ઓવરબ્રીજ નીચે એક મહિલાની માથામાં પથ્થર મારી હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. કંપારી છોડાવી દે તેવા સ્ટોન કિલીંગના આ બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી ત્યારે પોલીસના સ્ટાફના માણસો પણ દ્રશ્યો જોઇ ચોંકી ઉઠયા હતા. માધવપુરા પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે મહિલાની હત્યા કરાઇ હોવાની આશંકા વ્યકત કરી છે. પોલીસે હત્યારાને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની વિગત એવી છે કે, શાહીબાગ રેલ્વે ઓવરબ્રીજ(મહાપ્રજ્ઞ ઓવરબ્રીજ) પાસેના રબારીવાસમાં વિનોદભાઇ વિઠ્ઠલભાઇ દંતાણી તેમના પરિવાર સાથે રહે છે. વિનોદભાઇના બહેન સંગીબહેન(ઉ.વ.૩૫)ના લગ્ન ૧૫ વર્ષ અગાઉ કઠલાલ ખાતે થયા હતા. જો કે, સંગીબહેન માનસિક અસ્થિર હોવાના કારણે તેમના છૂટાછેડા થઇ ગયા હતા. છૂટાછેડા બાદ સંગીબહેન શાકભાજીનો વેપાર કરતાં અને રબારીવાસમાં રહેતા તેમના ભાઇ વિનોદભાઇ સાથે રહેતા હતા. અસ્થિર મગજના કારણે તેઓ અવારનવાર બ્રીજ નીચે અનએ આસપાસના વિસ્તારમાં જતા રહેતા હતા. મોટેભાગે બ્રીજ નીચે બેસી રહેતા હતા. ગઇકાલે મોડી રાત્રે વિનોદભાઇ પાણી પીવા ઉઠયા ત્યારે જોયું તો, તેમની બહેન સંગીબહેન ઘરમાં દેખાયા ન હતા, તેથી તેમણે તેમની પત્નીને પૃચ્છા કરી હતી અને બાદમાં બંને જણાં તેને શોધવા નીકળ્યા હતા. છેવટે રેલ્વે બ્રીજ નીચે તેણી ઘણીવાર બેસી રહેતી હોઇ ત્યાં પણ તપાસ કરવા ગયા હતા અને ત્યાં પોતાની બહેનની લોહીલુહાણ હાલતમાં લાશ જોઇ બંને પતિ-પત્ની આઘાતમાં ફસડાઇ પડયા હતા. આ બનાવ અંગે માધવપુરા પોલીસને જાણ કરાતાં પોલીસ સ્ટાફે આવીને તપાસ કરી તો માલૂમ પડયું કે, સંગીબહેનને કોઇ અજાણ્યા શખ્સે માથામાં પથ્થર મારી હત્યા કરી નાંખી હતી અને તેમની લાશને ઢસડીને બ્રીજની બાજુમાં પિલ્લર પાસે ફેંકી દીધી હતી. પોલીસે સમગ્ર ઘટનામાં એફએસએલ, ડોગ સ્કવોડની પણ મદદ લીધી હતી. પોલીસે રેલ્વે ઓવરબ્રીજ નીચે ફરતાં અસામાજિક તત્વો અને ભિખારીઓને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરી હતી. વળી, મહિલા સાથે હત્યા પહેલાં દુષ્કર્મની ઘટના નથી ઘટીને તે મુદ્ પણ પોલીસે તપાસ કરી લાશ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી છે, જેના રિપોર્ટમાં આગળના ખુલાસા થાય તેવી શકયતા છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, સ્થાનિકોમાં અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.