કોંગ્રેસ દ્વારા ફ્લેશનેટ મામલામાં પોતાના ઉપર મુકવામાં આવેલા આક્ષેપો અંગે ખુલાસો કરતા કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયેલે આજે જવાબો આપ્યા હતા. ગોયેલે કોંગ્રેસના આક્ષેપોને ફગાવતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર પ્રહારો કર્યા હતા. ગોયેલે કહ્યું હતું કે, ૨૬મી મે ૨૦૧૪ના દિવસે મંત્રી બનતા પહેલા તેઓ એક પ્રોફેશનલ હતા. તેમણે કહ્યું હતું કે, મંત્રી બનવાથી પહેલા તેઓ એક પ્રોફેશનલ સીએ અને ઇન્વેસ્ટમેન્ટ બેંકર હતા. રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીની જેમ તેઓ કોઇપણ કામ કર્યા વગર જીવવા માટેના તરીકે જાણતા નથી. રાહુલ ગાંધી નામદાર છે જ્યારે અમે કામદાર તરીકે રહ્યા છીએ. રાહુલ ગાંધીએ કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયેલ ઉપર એક ખાનગી કંપનીને નક્કી કરવામાં આવેલી કિંમત કરતા આશરે ૧૦૦૦ ગણી વધારે કિંમત પર શેર વેચવાને લઇને પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ પિયુષ ગોયેલના રાજીનામાની પણ માંગ કરી હતી. રાહુલે ટિ્વટર પર કહ્યું હતું કે, પિયુષ ગોયેલ ૪૮ કરોડ રૂપિયાના ફ્લેશનેટ કૌભાંડમાં સક્રિય દેખાઈ રહ્યા છે. છેતરપિંડી અને ખાનગી હિતો આમા નજરે પડે છે. કોંગ્રેસે ગયા સપ્તાહમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે, ગોયેલ અને તેમના પત્નિએ ફ્લેશનેટ ઇન્ફો સોલ્યુશનના શેરને પિરામલ એસ્ટેટને ૯૫૮૬ રૂપિયા પ્રતિશેરની કિંમતે ૪૮ કરોડ રૂપિયામાં વેચી દીધા હતા. જે નક્કી કરવામાં આવેલી કિંમત કરતા એક હજાર ગણી વધારે છે. કોંગ્રેસ પાર્ટીએ આ જ ક્રમમાં આગળ વધીને ગોયેલ સામે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. ફ્લેશનેટ ઇન્ફો સોલ્યુશન કન્સલ્ટન્સી ઉપલબ્ધ કરાવનાર કંપની છે કે કેમ તેવો પ્રશ્ન કોંગ્રેસ તરફતી કરવામાં આવ્યો હતો. ગોયેલ આ કંપનીમાં ૩૧ માર્ચ ૨૦૧૪ સુધી એક સલાહકાર તરીકે રહી ચુક્યા છે. કોંગ્રેસના આક્ષેપોને ભાજપે પણ ફગાવી દીધા છે.