ટેલિકોમ કમિશને ઇન્ફ્લાઇટ મોબાઇલ સર્વિસ માટેની દરખાસ્તને આખરે લીલીઝંડી આપી દીધી છે. આનો મતલબ એ થયો કે, વિમાની યાત્રા દરમિયાન પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકાશે. વિમાની યાત્રા દરમિયાન મોબાઇલ સેવા કનેક્ટીવીટીને શરતી આધાર પર મંજુરી આપવામાં આવી હતી. આ નિર્ણય બાદ સ્થાનિક અથવા તો વિદેશી વિમાની યાત્રા દરમિયાન યાત્રી મોબાઇલ ઉપર વાત કરી શકશે. સાથે સાથે ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકશે. ટેલિકોમ વિભાગની સૌથી સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા ટેલિકોમ કમિશન દ્વારા આજે યોજાયેલી બેઠકમાં ઇન્ટરનેટ ટેલિફોની ઉપર ટ્રાઇની ભલામણને પણ મંજુરી આપી હતી. દૂરસંચાર સચિવ અરુણ સુંદરરાજને પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, દૂરસંચાર પંચે ટ્રાઇ અધિનિયમ હેઠળ વધારે સારી સુવિધા ઉભી કરવાના હેતુસર કેટલાક પગલા લીધા છે. આના ભાગરુપે લોકપાલ રચના કરવાની દરખાસ્તાને પણ મંજુરી આપી દીધી છે. લોકપાલની રચના ટ્રાઇ હેઠળ કરવામાં આવશે. આના માટે ટ્રાઇ અધિનિયમમાં સુધારા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, દરેક ત્રિમાસિક ગાળામાં એક કરોડ ફરિયાદો આવી રહી છે. નવા તંત્રની રચનાથી ગ્રાહકોની ફરિયાદોને વધુ સારીરીતે દૂર કરી શકાશે. ટેલિફોન કમિશને ઇનફ્લાઇટ મોબાઇલ સર્વિસને મંજુરી આપી દીધા બાદ લોકોને રાહત થશે. ટેલિકોમ ફરિયાદોના નિરાકરણ માટે વધુ એક દરખાસ્તને પણ ંમજુરી આપવામાં આવી છે. લાંબા સમયથી વિમાની યાત્રીઓ દ્વારા વિમાનમાં મોબાઇલ અને ઇન્ટરનેટના ઉપયોગને લઇને મંજુરીની માંગ કરવામાં આવી રહી હતી.
આગળની પોસ્ટ