કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બંધારણ બચાવો અભિયાનની શરૂઆત કરી હતી અને વડાપ્રધાન મોદી ઉપર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીના પુસ્તક કર્મ યોગી બાય નરેન્દ્ર મોદીના કોટનો ઉપયોગ કરીને રાહુલે મોદીને દલિત વિરોધી ગણાવ્યા હતા. પોતાના ભાષણ દરમિયાન સરકાર પર સુપ્રીમ કોર્ટ, સંસદને ખતમ કરવાના કાવતરાનો પણ આરોપ મુક્યો હતો. રાહુલે કહ્યું હતું કે, વડાપ્રધાને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, વાલ્મિકી સમાજના વ્યક્તિ જે કામ કરે છે તે પેટભરવા માટે કરતા નથી. જો તેઓ આ કામ માત્ર પેટ ભરવા માટે કરે છે તો તેને યોગ્ય ગણી શકાય નહીં. તેઓ આ કામ અધ્યાત્મ માટે કરે છે. મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, દલિતો માટે વડાપ્રધાનની આ વિચારધારા છે. આ વિચારથી વડાપ્રધાનના દલિતો પ્રત્યે વલણ જાણી શકાય છે. દેશના દરેક ગરીબ અને દલિતને આ વાત સમજવી પડશે. વડાપ્રધાનના દિલમાં દલિતો માટે કોઇ જગ્યા નથી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, મોદીના મનમાં દેશના ગરીબો, દલિતો અને મહિલાઓ માટે કોઇ જગ્યા નથી. ઉના, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં દલિતોની સામે અત્યાચારમાં વધારો થઇ રહ્યો છે. આ દેશમાં દલિતો, ગરીબો અને મહિલાઓની સુરક્ષા બંધારણ કરે છે. મોદી પર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, દેશને બંધારણ કોંગ્રેસ પાર્ટી અને ભીમરાવ આંબેડકરે આપ્યા છે. ચૂંટણી પંચ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, આઈઆઈટી, આઈઆઈએમ જેવી સંસ્થાનઓ બંધારણે આપી છે. બંધારણ વગર કોઇ કામ થઇ શકે નહીં. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંધારણના માળખા તરીકે છે. આ સરકારમાં સંઘના લોકોને લાવવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ચાર જજોને ઇતિહાસમાં પ્રથમ વખત જનતા પાસેથી ન્યાય માંગવાની ફરજ પડી છે. લોકો જજ પાસેથી ન્યાય માંગે છે પરંતુ અહીં જજ જનતા પાસે ન્યાય માંગવા પહોંચી ગયા છે. સુપ્રીમ કોર્ટને કચડી નાંખવા માટેનું કામ થઇ રહ્યું છે. સંસદ ભવનને સરકાર બંધ કરી રહી છે. નિરવ મોદી, વિજય માલ્યા અને રાફેલના નામનો ઉલ્લેખ કરીને રાહુલે મોદી પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, મોદી સંસદમાં ઉભા રહેવામાં ગભરાહટ અનુભવ કરે છે.