વર્ષ ૨૦૦૭ના મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપી નિર્દોષ છુટી ગયા બાદ ભારતીય જનતા પાર્ટીને મોટો હથિયાર મળી ગયો છે. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે ત્રાસવાદનો મુદ્દો ફરી એકવાર સપાટી ઉપર આવી ગયો છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ આજે કહ્યું હતું કે, પી.ચિદમ્બરમ અને સુશીલ શિંદે જેવા કોંગ્રેસી નેતાઓએ ભગવા આતંકવાદ જેવા શબ્દોનો ઉપયોગ કરીને હિન્દુ લોકોનું અપમાન કર્યું હતું. પાત્રાએ કહ્યું છે કે, આના માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને માંફી માગવી જોઈએ. ભાજપે કોર્ટના આ ચુકાદાને કર્ણાટક ચૂંટણી માટે પોતાના હથિયાર તરીકે ગણાવીને કહ્યું છે કે, પ્રજા કોંગ્રેસને પછડાટ આપીને બદલો લેશે. આજે મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. ભાજપના નેતા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, કોર્ટના આ ચુકાદા બાદ કોંગ્રેસના નેતાઓના નિવેદન શરમજનક છે. પાત્રાએ કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા હવે કહી રહ્યા છે કે, એનઆઈએ દ્વારા યોગ્ય રીતે તપાસ કરવામાં આવી નથી. તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરમાં ટુજીના મામલામાં ચુકાદો આવ્યો ત્યારે કોંગ્રેસે આવી કોઈ વાત કરી ન હતી અને ચુકાદાની પ્રસંશા કરી હતી. હવે કોંગ્રેસ દ્વારા એનઆઈએની ટીકા કરવામાં આવી રહી છે. કોંગ્રેસનું બેવડુ વલણ દેખાઈ આવે છે. પાત્રાએ કહ્યું હતું કે, આજે દેશના લોકોને ૨૦૧૩ના કોંગ્રેસના જયપુર અધિવેશનની યાદ આવે છે. એ અધિવેશનમાં મંચ પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહનસિંહ, સુશીલ કુમાર શિંદે ઉપસ્થિત હતા. શિંદેએ આ મંચ પરથી હિન્દુ આતંકવાદ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ૨૦૧૦માં સૌથી પહેલા ચિદમ્બરમે હિન્દુ આતંકવાદ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પાત્રાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ચોક્કસ સમુદાયને ખુશ કરવા અને નજીવા મત મેળવવા માટે કોંગ્રેસે હિન્દુ લોકોને બદનામ કરવામાં કોઈ કમી રાખી ન હતી. કોંગ્રેસના લોકોએ હવે માંફી માગવી જોઈએ.
ભાજપે મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપી છુટી ગયા બાદ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દાને ચગાવવા માટેની તૈયારી કરી લીધી છે. પાત્રાએ કહ્યું છે કે, ચોક્કસ સમુદાયને ખુશ કરવા મુસ્લિમ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાત્રાએ કહ્યું હતું કે, ૨૦૧૪માં જ્યારે કોંગ્રેસની હાર થઈ ત્યારે રાહુલ ગાંધી અસ્થાઈ જનૈયુ લઈને પહોંચ્યા હતા. દિગ્વિજય સિંહ પર પ્રહાર કરતા પાત્રાએ કહ્યું હતું કે, સિંહ આજે નર્મદા યાત્રા કરી રહ્યા છે. આ આજ નેતા છે જે નેતાએ કહ્યું હતું કે, અમેરિકાની સરકાર ઓસામા બિનલાદેનજીની સાથે યોગ્ય વર્તન કરી રહી નથી.