ભારતે શીખ શ્રદ્ધાળુઓને ભારતીય રાજદ્વારીઓ પાસેથી કોઇપણ પ્રકારની સહાયતા મેળવવાને લઇને પાકિસ્તાને વાંધો ઉઠાવ્યા બાદ ભારતે આની નિંદા કરી છે. ભારતે આજે અખબારી યાદીમાં જણાવ્યું છે કે, શીખ શ્રદ્ધાળુઓને કોઇપણ પ્રકારની કોન્સ્યુલર સેવા લેવાથી રોકવાના પાકિસ્તાનના નિર્ણયને લઇને અમે ચિંતિત છીએ સાથે સાથે આની સામે વાંધો પણ ઉઠાવવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં ભારતના રાજદ્વારીઓને હેરાન કરવાનો સિલસિલો જારી રહ્યો છે. હવે પાકિસ્તાનમાં ભારતીય રાજદ્વારીઓ પાસેથી સીખ શ્રદ્ધાળુઓને મળવા અને તેમની પાસેથી કોઇ મદદ લેવા પર પ્રતિબંધ મુકી દીધો છે. વિદેશ મંત્રાલયે આજે લાલઆંખ કરીને કહ્યું હતું કે, પાકિસ્તાનનું આ કૃત્ય કોઇ કિંમતે ચલાવી લેવાશે નહીં. વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ યોજીને આ અંગેની માહિતી આજે આપી હતી. અત્રે નોંધનીય છે કે, આ પહેલા રાજદ્વારીઓની પાકિસ્તાનના ક્લબમાં પ્રવેશને લઇને પણ વિવાદ થયો હતો. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, આ એક સામાન્ય પ્રક્રિયા છે કે ભારતીય રાજદ્વારીઓને ભારતથી આવનાર સીખ શ્રદ્ધાળુઓને ધાર્મિક સ્થળ ઉપર લઇ જવા અને તેમની સાથે સંપર્ક રાખવાની છુટ હોય છે. કાઉન્સિલર અને પ્રોટોકોલ સાથે જોડાયેલી ફરજોને અદા કરવા માટે ભારતીય દૂતાવાસના અધિકારીઓને આ છુટછાટ આપવામાં આવે છે. આ છુટછાટનો મુખ્ય ઉદ્દેશ્ય મેડિકલ ઇમરજન્સી અથવા તો અન્ય કોઇપણ પ્રકારની મુશ્કેલ સ્થિતિમાં એકબીજાને મદદ કરવાનો હોય છે. ૧૮૦૦ સીખ શ્રદ્ધાળુઓ ગુરુવારના દિવસે પાકિસ્તાન ગયા હતા. આ શ્રદ્ધાળુઓ બેશાખી પર્વની ઉજવણી કરવા માટે રાવલપિંડીના ગુરુદ્વારા પંજાસાહેબમાં પહોંચ્યા હતા. જેને સીખ ધર્મમાં ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય કાઉન્સિલરોને પાકિસ્તાનમાં સીખ તીર્થ યાત્રીઓને મળવાની મંજુરી મળી ન હતી. તેમને જરૂરી પ્રોટોકોલ ફરજ અદા કરવાની મંજુરી પણ આપવામાં આવી ન હતી. આને લઇને ભારતે આજે લાલઆંખ કરી હતી. વિદેશ મંત્રાલયના કહેવા મુજબ ભારતીય ટીમ સીખ યાત્રીઓની સાથે વાઘા રેલવે સ્ટેશન પર ૧૨મી એપ્રિલના દિવસે પહોંચ્યા બાદ તેમને મળવા દેવામાં આવી ન હતી. ૧૪મી એપ્રિલના દિવસે ભારતીય યાત્રીઓની સાથે પાકિસ્તાનમાં સ્થિત ભારતીય રાજદ્વારીઓ અને દૂતાવાસના અધિકારીઓની મિટિંગ નક્કી કરવામાં આવી હતી પરંતુ છેલ્લી ઘડીએ પાકિસ્તાને આ મિટિંગને મંજુરી આપી ન હતી. વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભારતીય રાજદ્વારી અજય બિસેરિયાની ગાડી જ્યારે ગુરુદ્વારા તરફ જઇ રહી હતી ત્યારે તેમને વચ્ચેથી જ સુરક્ષા કારણો ટાંકીને પરત મોકલી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાને ભારતીય રાજદ્વારીઓની સાથે સતત ખરાબ વર્તન કર્યું છે. રાજદ્વારીઓની સાથે ખરાબ વર્તનને કોઇ કિંમતે ચલાવી લેવાઈ નહીં. પાકિસ્તાને એમ કરીને વિયેના સમજૂતિ ૧૯૬૧નો ભંગ કર્યો છે.
આગળની પોસ્ટ