રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ શરૂઆતની બંને મેચ હારી ગયા બાદ આજે ઘરઆંગણે દિલ્હી ડેરડેવિલ્સ સામે ટકરાશે. પ્રતિષ્ઠા બચાવવાના ઇરાદાથી વર્તમાન ચેમ્પિયન મુંબઈની ટીમ મેદાનમાં ઉતરશે. મુંબઈ તરફથી કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત અન્ય સ્ટાર ખેલાડીઓ ફ્લોપ રહ્યા છે. પોલાર્ડ, કમિન્સ, કટિંગ, લેવિસ જેવા ખેલાડીઓ હજુ સુધી યોગ્ય દેખાવ કરી શક્યા નથી. બોલિંગમાં બુમરાહ અને ચહેલ પણ ફ્લોપ રહ્યા છે. આવતીકાલે રમાનારી આ મેચનું સાંજે ચાર વાગ્યાથી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, ગયા શનિવારના દિવસે ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો સાતમી એપ્રિલથી શરૂ થશે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. આ વખતે અનેક સ્ટાર ખેલાડી હાલમાં ઘાયલ હોવાથી ક્રિકેટ ચાહકો નિરાશ છે. પરંતુ તેમની શરૂઆતની કેટલીક મેચો બાદ વાપસી થનાર છે. કેટલાક ખેલાડી સમગ્ર શ્રેણીમાં પણ રમનાર નથી. આવી સ્થિતીમાં રોમાંચકતા પર માઠી અસર થઇ શકે છે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમનાર નથી. આજે રમાનારી મેચનુ રાત્રે આઠ વાગ્યાથી પ્રસારણ કરવામાં આવનાર છે. હાલમાં પોઇન્ટ ટેબલમાં ચેન્નાઇ બન્ને મેચો જીતીને પ્રથમ સ્થાન પર છે. જ્યારે સનરાઇઝ હૈદરાબાદ પણ પોતાની બંને મેચ જીતી ચુક્યું છે.