એક પછી એક બેંક કૌભાંડો હવે સપાટી ઉપર આવી રહ્યા છે. જેથી કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વડોદરામાં ૨૬૫૪ કરોડ રૂપિયાનું લોન કૌભાંડ સપાટી ઉપર આવ્યા બાદ આવકવેરા વિભાગે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. બેંક લોન કૌભાંડના સંદર્ભમાં આજે આવકવેરા વિભાગે અમિત ભટનાગરના આવાસ, ફેક્ટ્રીઓ અને ઓફિસ સહિત અનેક સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા. બીજી બાજુ સીબીઆઈ કોર્ટે ભટનાગરની આગોતરા જામીન અરજી ફગાવી દેતા તેમની ચિંતામાં વધારો થયો છે. આગામી દિવસોમાં ભટનાગરને કાયદાકીય ગુંચમાંથી પસાર થવાની ફરજ પડી શકે છે.
આઈટીના વ્યાપક દરોડાથી અમિત ભટનાગર સાથે જોડાયેલા લોકોમાં આને લઇને ચિંતા જોવા મળી હતી. તેમની પુછપરછના ભણકારા પણ વાગી રહ્યા છે. સીબીઆઈ અને ઇડી દ્વારા પણ દરોડા પાડવામાં આવી ચુક્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ૨૬૫૪ કરોડના બેંક લોન કૌભાંડમાં આજે સવારથી જ આવકવેરા વિભાગની ટીમે અમિત ભટનાગરને ત્યાં ધામા નાંખ્યા હતા. અમિત ભટનાગરની કંપનીઓ, આવાસ, ઓફિસ સહિત જુદા જુદા સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગના અધિકારીઓએ મહત્વના દસ્તાવેજો કબજે કરીને તપાસ હાથ ધરી હતી. ભટનાગરની બેનામી આવક શોધી કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામ લોકો જાણે છે કે, ગઇકાલે સોમવારના દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ દ્વારા અમિત ભટનાગરને ત્યાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. વડોદરામાં ભટનાગરની કંપની પર સવારથી જ દરોડાની કાર્યવાહી શરૂ થઇ હતી જે મોડી સાંજ સુધી જારી રહી હતી. સીબીઆઈએ પણ અગાઉ દરોડા પાડીને અમિત ભટનાગર સામે ગુનો દાખલ કર્યો હતો.
આગળની પોસ્ટ