કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ તાકાત લગાવી દીધી છે. રાહુલ ગાંધીએ આજે દાવા સાથે કહ્યું હતું કે, ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ કોઇ કિંમતે જીતી શકશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંયુક્ત વિપક્ષ હેઠળ તેમની વારાણસી સીટ પર હારી જશે. વિપક્ષી એકતા અંગે વિશ્વાસ વ્યક્ત કરતા ગાંધીએ કહ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ કોઇ કિંમતે જીતશે નહીં. મોદી પોતે પણ વારાણસીથી હારી જશે. રાહુલે કહ્યું હતું કે, જો તેમની પાર્ટી, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી સંયુક્ત રહેશે તો મોદી પણ નહીં જીતી શકે. જુદા જુદા અંગત અને ક્ષેત્રિય અભિપ્રાય છતાં ગઠબંધનમાં અનેક ભાગીદારોને લાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતા ગાંધીએ કહ્યું હતું કે, હવે સંયુક્ત વિપક્ષની સ્થિતિ જોવા મળી રહી છે. ગાંધીએ કહ્યું હતું કે, વર્તમાન શાસક ગઠબંધન જોરદારરીતે ધરાશાયી થઇ જશે. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપની જીત તેઓ જોતા નથી. અમે સામાન્યની જેમ આગળ વધીશું. દલિત સમુદાયમાં પ્રવર્તી રહેલી નારાજગી અંગે પ્રતિક્રિયા આપતા રાહુલે આ મુજબની વાત કરી હતી. અનૌપચારિક મિડિયા વાતચીતમાં ગાંધીએ કહ્યું હતું કે, બે મૂળભૂત બાબતો રહેલી છે. એકબાજુ વિપક્ષી એકતા પહેલા કરતા મજબૂત દેખાઈ રહી છે. હવે ભાજપને પડકાર ફેંકવાની સ્થિતિમાં વિપક્ષ રહેલો છે. ઉત્તરપ્રદેશ, બિહારમાં એકતા દેખાઈ રહી છે. ડીએમકે, કોંગ્રેસ અને એનસીપીમાં એકતા દેખાઈ રહી છે. તમિળનાડુમાં પણ એકતા દેખાઈ રહી છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા અને પંજાબમાં ચૂંટણી આ વખતે ભાજપ માટે આ વખતે ખુબ જ પડકારરુપ રહેનાર છે. કર્ણાટકમાં ૧૨મી મેના દિવસે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે રાહુલ ગાંધી જનઆશીર્વાદ યાત્રાના ભાગરુપે હાલ પ્રચાર કરી રહ્યા છે. વિપક્ષી એકતા અંગે વાત કરતા રાહુલે કહ્યું હતું કે, દરેક પાર્ટી અને તેમના નેતાઓની જુદી જુદી અપેક્ષાઓ રહે છે પરંતુ આ વખતે તમામની અપેક્ષાઓ છતાં એકતા અખંડ રહેશે. કોંગ્રેસ પાર્ટી તમામ લોકોને એક સાથે લઇને ચાલવામાં વિશ્વાસ રાખે છે. મોદી અને સંઘના હાથમાંથી દેશને બહાર કાઢવાની બાબત મહત્વપૂર્ણ બની છે. કોંગ્રેસ પ્રમુખે કોઇ ત્રીજા મોરચાના અસ્તિત્વની શક્યતાને નકારી કાઢી હતી. લોકો હવે સંઘની ગતિવિધિથી પણ વાકેફ થઇ રહ્યા છે. રાજકીય દ્વેષભાવની ગતિવિધિ ચાલી રહી છે. ૨૦૧૪ની ચૂંટણી બાદ મોદી ખુબ તકવાદી રહ્યા છે. ગાંધીએ એણ પણ કહ્યું હતું કે, દેશ માટે ઘણું બધું કામ થઇ શક્યું હોત.
આગળની પોસ્ટ