વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહમાં બિહાર પ્રવાસે જઇ રહ્યા છે. બિહાર પ્રવાસ દરમિયાન મોદી બિહારને મોટી ટ્રેનની ભેંટ આપવા જઇ રહ્યા છે. દિલ્હી અને કટિહાર વચ્ચે નવી હમસફર ટ્રેનની જાહેરાત કરવામાં આવશે. આ નવી ટ્રેનને ચંપારણ હમસફર એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. ટ્રેનના રુટને તૈયાર કરતી વેળા ઘણી બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. આની સીધી અસર પ્રત્યક્ષ અથવા પરોક્ષરીતે ૩૩ લોકસભા ક્ષેત્રમાં પડશે. રેલવે સુત્રોના કહેવા મુજબ ચંપારણ સત્યાગ્રહના ૧૦૧ વર્ષ પર વડાપ્રધાન મોટીહારીથી ૧૦મી એપ્રિલના દિવસે આ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. અલબત્ત યાત્રીઓ માટે આ ટ્રેનની નિયમિત સેવા ૧૩મી એપ્રિલથી શરૂ થશે. આ ટ્રેન જુની દિલ્હીથી કટિહાર માટે સપ્તાહમાં બે દિવસ ચાલશે. આવી જ રીતે કટિયારથી દિલ્હી વચ્ચે સપ્તાહમાં બે દિવસ આ ટ્રેન દોડનાર છે. ૧૩૮૩ કિમી લાંબી ટ્રેનના આ રુટમાં ૧૬ સ્ટેશન રહેશે. આ ટ્રેન જુની દિલ્હીથી રવાના થયા બાદ કાનપુર સેન્ટ્રલ, લખનૌ, ગોંડા, બલરામપુર, નૌગઢ, ગોરખપુર જંક્શન, કપ્તાનગંજ, નરકટિયાગંજ, બેટિયા, મોટીહારી, બાપુધામ, મુઝફ્ફરપુર, મસ્તીપુર, ખડેદિયા, સહરસા, માધેપુરા, પૂર્ણિયા થઇને કટિહાર પહોંચશે. આ ટ્રેનમાં થર્ડ એસી કોચ રહેશે. ટ્રેનમાં જીપીએસ આધારિત એલઈડી ડિસ્પ્લે સિસ્ટમ રહેશે. આ સિસ્ટમ મારફતે ટ્રેનની ગતિ અને સ્ટેશનના સંદર્ભમાં જરૂરી માહિતી આપવામાં આવશે. ટ્રેનના કોચમાં ધુમાડા માટે અલાર્મ સિસ્ટમ રહેશે. યાત્રીઓની સુવિધા માટે ચા-કોફીના વેન્ડિંગ મશીન, હોટ બોક્સ, રેફ્રિજરેટર રહેશે. ટ્રેનમાં સીસીટીવી અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ પણ ગોઠવવામાં આવશે. આ ટ્રેનથી લાખો યાત્રીઓને સીધો ફાયદો થશે જે મોટાભાગે નવી દિલ્હીથી કટિયાર વચ્ચે અવરજવર કરતા રહે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ