મહિલાઓ આર્થિક રીતે સદ્ધર થાય તથા સ્વરોજગારી મેળવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનની રચના કરાઈ છે જે માટે રાજ્ય સરકારે ગુજરાતની મહિલાઓ માટે ગુજરાત શહેરી આજીવિકા મિશનની રચના કરી નોડલ એજન્સી કાર્યરત કરી છે જેના દ્વારા થતી વિવિધ જનજાગૃત્તિ પ્રવૃત્તિઓ તેમજ સ્વ-સહાયને લીધે મહિલાઓ સ્વાવલંબી બની છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્યોની એરિયા લેવલ ફેડરેશનની સ્વચ્છતા અને સેનીટેશનની કામગીરી માટે ગુજરાતના અમદાવાદ શહેરીની ખોડિયારનગર, બહેરામપુરા વોર્ડના સખી સંઘે ત્રીજો ક્રમ મેળવી સ્વચ્છતા એક્સીલન્સ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એમ નગરપાલિકા નિયામકની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુ જણાવ્યાનુસાર આ મિશન અંતર્ગત શહેરી ગરીબોને ૧૦ કે તેથી વધુ સભ્યો મળી સ્વ સહાય જૂથ બનાવી બચત કરાવવી, ફરતા ભંડોળની સહાય આપવી તથા લાભાર્થીને ધંધાર્થે વ્યાજની સહાય સાથે લોન આપવામાં આવે છે. એક શહેરના એક જ એરિયાના એક કરતા વધુ જૂથો મળીને એરિયા લેવલ ફેડરેશનની (સખી સંઘ) રચના કરવામાં આવે છે. આ એરિયા લેવલ ફેડરેશનના સભ્યો પોતાનું આર્થિક ધોરણ ઉંચુ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના પરિણામે આ સફળતા મળી છે. ખોડિયારનગર બહેરારામપુરા વોર્ડ સખી સંઘ દ્વારા સ્વચ્છતાની કામગીરીમાં સક્રિય યોગદાન આપવામાં આવ્યું હતું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પબ્લિક હેલ્થ વિભાગ સાથે સંકલન કરી સુકા અને ભીના કચરાના સેનિટેશનની કામગીરી કરવામાં આવે છે. જાહેર અને ખાનગી શૌચાલયની સાફ સફાઈ અને વ્યક્તિગત શૌચલાય ના હોય તેવા પરિવારોને વ્યક્તિગત શૌચાલય અર્થે સ્થાનિક સત્તા મંડળ સાથે પરામર્શ થકી નિરાકરણ કરાયું છે. ખુલ્લામાં શૌચ કરતા હોય તેવી જગ્યાઓ પર સખી સંઘની મહિલા સભ્યો દ્વારા લોકોને માર્ગદર્શન આપીને ઓપન ડેફીકેશન ફ્રી કરવામાં યોગદાન આપ્યું છે. જાહેર જગ્યાની સફાઈ-કચરા નિકાલમાં પણ આગવું પ્રદાન આપ્યું છે.
પાછલી પોસ્ટ