ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર હવે સીએસઆર ફંડ મારફતે અયોધ્યામાં સરયુ નદીના કિનારે ભગવાન રામની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરશે. ભગવાન રામની આ પ્રતિમા ૧૦૦ મીટર ઉંચી રહેશે. આને લઇને સરકારે તૈયારી પણ શરૂ કરી દીધી છે. યોગી સરકારે વારાણસી અને ગોરખપુર સહિત ઉત્તરપ્રદેશના ૧૦ શહેરોમાં ૨૭૨૫ કરોડ રૂપિયાના ૮૬ ટુરિઝમન પ્રોજેક્ટમાં કંપનીઓને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલિટી ફંડ ખર્ચ કરવા માટેની મંજુરી આપી દીધી છે. અત્રે નોંધનીય છે કે કંપનીઓને તેમના નેટ પ્રોફિટ પૈકી બે ટકા રકમ સીએસઆર ફંડ મારફતે સામાજિક વિકાસ માટે ખર્ચ કરવાની જરૂર હોય છે. એક અગ્રણી અંગ્રેજી અખબારે કહ્યુ છે કે યોગી સરકાર રાજ્યમાં વિકાસની પ્રક્રિયાને અતિ ઝડપથી આગળ વધારી દેવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે. યોગી સરકારના આ ૮૬ પ્રોજેક્ટમાં એક ૩૩૦ કરોડના ભગવાન રામની મુર્તિ સ્થાપિત કરવા સાથે સંબંધિત પ્રોજેક્ટ પણ સામેલ છે. બીજો પ્રોજેક્ટ સરયુ નદીના કિનારે ૩૫૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે બનનાર નવી અયોધ્યા છે. આમાં સાત ડી રામલીલા, રામકથા ગેલેરી અને રામલીલા પર લલાઇટ એન્ડ સાઉન્ડ શો ઉપરાંત મ્યુઝિકલ ફાઉન્ટેનનો સમાવેશ થાય છે. પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પણ સૈફાઇમાં કૃષ્ણની ૫૦ મીટર ઉંચી પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. યુપી સરકારે આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે ૨૬ પાનાની એક બુકલેટ પણ તૈયાર કરી છે. ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ (ટુરિઝમ) અવનીશ અવસ્થીએ કહ્યુ છે કે હાલમાં આ બુકલેટને પ્રકાશિત કરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ તે સરકારની નવી ટુરિઝમ નીતિના એક હિસ્સા તરીકે છે. અયોધ્યાના આવા ચાર પ્રોજેક્ટ માટે ૭૫૫ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી છે.
આગળની પોસ્ટ