ઇરાકના મોસુલમાં મૃત્યુ પામેલા તમામ ૩૯ લોકોના પરિવારજનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ લાખ રૂપિયાની સહાયતા કરવાની જાહેરાત કરી છે.
આપને જણાવી દઇએ કે ૩૯માંથી ૩૮ લોકોના મૃતદેહ ભારત લાવામાં આવ્યા. તેના માટે વિદેશ રાજ્ય મંત્રી જનરલ વી.કે.સિંહ ખુદ ઇરાક ગયા હતા. જો કે ઇરાકથી લાવવામાં આવેલા કોફિન્સમાં મૃતદેહની જગ્યાએ તેમનો સામાન, વાળ અને હાડકાંઓ હતા.આની પહેલાં ભારત આવવા પર વિદેશ રાજ્ય મંત્રી વી.કે.સિંહે પરિવારજનોને કોફિન્સ ન ખોલવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે સામાનમાં કેમિકલ્સ લગાવેલું છે, જે આંખોને નુકસાન પહોંચાડી શકે છે. લાંબા સમયથી પોતાના વ્યકિતની રાહ જોઇ રહેલા પરિવારોએ કોફિન્સ ખોલવાનું શરૂ કરી દીધું. કોફિન્સમાં પોતાના વ્યક્તિઓના હાડકાં અને વાળ જોઇ ત્યાં હાજર દરેક વ્યક્તિ રડવા લાગ્યા.જનરલ વી.કે.સિંહે આતંકી સંગઠન આઇએસઆઇએસ દ્વારા બંધક બનાવેલ કુલ ૪૦ ભારતીયો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી.
તેમણે કહ્યું કે ઇરાકમાં આઇએસ દ્વારા બંધક બનાવેલ ૪૦ ભારતીયોનો કોઇપણ દૂતાવાસમાં કોઇ રેકોર્ડ નહોતો કારણ કે ગેરકાયદે ટ્રાવેલ એજન્ટો દ્વારા ત્યાં ગયા હતા. તેમણે કહ્યું કે જો સરકારની પાસે કોઇ પણ માહિતી હોત તો આ લોકોને બચાવી શકયા હોત.મંગળવારના રોજ સંસદ ભવન પરિસરમાં પંજાબ કૉંગ્રેસના સાંસદોએ મૃતકોના પરિવારજનોને રોકડમાં સહાયતા આપવાને લઇ પ્રદર્શન પણ કર્યું હતું.