એસસી-એસટી એક્ટ સાથે જોડાયેલા ચુકાદા પર ફેરવિચારણા કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવતી વેળા આજે દેખાવકારોની પણ જોરદાર ઝાટકણી કાઢી હતી અને કહ્યં હતું કે, જે લોકો ભારત બંધ રાખીને માર્ગો ઉપર ઉતરી પડ્યા છે અને હિંસા ફેલાવી ચુક્યા છે તે લોકોએ ચુકાદા તરફ ધ્યાન આપ્યું નથી. આ લોકોએ ચુકાદામાં અભ્યાસ કર્યો નથી. અમે એવા નિર્દોષ લોકોની ચિંતા કરી રહ્યા છે જે લોકો જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટે રજૂઆત કરતી વેળા વ્યાપક તોડફોડ અને હિંસા કરનાર લોકો તરફ દેખીતી રીતે લાલઆંખ કરી હતી. સુપ્રીમ કોર્ટે તારણ આપતા કહ્યું હતું કે, એક્ટની જોગવાઈ સાથે કોઇ ચેડા કરાયા નથી. નિર્દોષ લોકોને ભયભીત કરવાના હેતુસર આ કાયદાની જોગવાઈઓનો ઉપયોગ કરી શકાય નહીં. ફરિયાદ દાખલ કરવાના આધાર પર તરત ધરપકડ કરવાની બાબત બિલકુલ યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે દલિત આંદોલનની પરોક્ષરીતે ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, હિંસા ઉપર ઉતરેલા લોકો ગેરમાર્ગે દોરાયેલા છે. સુપ્રીમે એમ પણ કહ્યું છે કે, એસસી-એસટી એક્ટમાં ઉલ્લેખ કરવામાં આવેલા ગુનાઓને લઇને સ્પષ્ટ નોંધ લેવામાં આવી છે. ઇન્ડિયન પીનલ કોડમાં હત્યા અને અન્ય નોંધ લેવા લાયક ગુનાઓના કેસ એફઆઈઆરની નોંધણી પહેલા તપાસની જરૂર હોતી નથી.