ચીનનું નિષ્ક્રિય અંતરિક્ષ સ્ટેશન ‘તિયાંગોગ-૧’ પૃથ્વી પર પડતાં પહેલા જ નષ્ટ થઇ ગયું છે. હવે તેનો અમુક ભાગ પૃથ્વી પર પડી શકે છે. જો કે આ ભાગ ભારતની આસપાસ પડવાની શક્યતા નથી. ચીન દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ અંતરિક્ષ સ્ટેશન ‘તિયાંગોંગ-૧’એ દક્ષિણ પેસિફિક ઉપર વાયુમંડળમાં બીજી વખત પ્રવેશ કર્યો અને નષ્ટ થઇ ગયું. જો કે તેના કેટલાક ટુકડાઓ પૃથ્વી પર પડશે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ એવુ કહેવામાં આવ્યું હતું કે ચીનનું આ નિષ્ક્રિય અંતરિક્ષયાન ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની વચ્ચે પૃથ્વી પર પડી શકે છે. રવિવારે ચાઇના મેન્ડ સ્પેસ એન્જીનિયરિંગ ઓફિસ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે ‘તિયાંગોંગ-૧’ અંતરિક્ષ સ્ટેશન થોડા કલાકમાં વાયુમંડળમાં પ્રવેશ કરશે અને તે ઓસ્ટ્રેલિયાથી લઇને અમેરિકા વચ્ચે કોઇપણ જગ્યા પર પડવાની આશંકા છે. સ્પેસ એન્જીનિયરિંગ ઓફિસે કહ્યું હતું કે સોમવારે તે અંતરિક્ષ પ્રયોગશાળા (સ્પેસ લેબ) પૃથ્વીના વાયુમંડળમાં બીજી વખત પ્રવેશ કરશે.
જો કે સ્પેસ એન્જીનિયરિંગ ઓફિસ દ્વારા હાલમાં જ પ્રકાશિત લેખમાં જણાવામાં આવ્યું છે કે ‘તિયાંગોંગ-૧’ વાયુમંડળમાં જ નષ્ટ થઇ જશે અને તેના કારણે પૃથ્વી પર કોઇપણ નુકસાન થવાની શક્યતા ઘણી ઓછી છે. જો કે લેબનો થોડો નાનો ભાગ જમીન પર પડવાની આશંકા છે.