ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેંન્દ્ર સિંહ ધોનીને આજે ભારતના ત્રીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધોનીને આ સન્માન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપતા ધોનીના સમર્થકો ખુશખુશાલ દેખાયા હતા. લેફ્ટિનેંટ કર્નલના માનદ પદથી સન્માનિત ધોની સેનાની ડ્રેસમાં પદ્મ ભૂષણ સન્માન લેવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. રસપ્રદ બાબત એ છે કે ધોનીની કેપ્ટનશીપમાં સાત વર્ષ પહેલા આજની તારીખે જ એટલે કે ૨ એપ્રિલના દિવસે ભારતીય ક્રિકેટ ટીમે ૨૦૧૧માં શ્રીલંકાને હરાવીને વર્લ્ડકપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. ધોનીને આજે આજ તારીખે પદ્મ ભૂષણ આપવામાં આવતા વધારે ખુશી રહી હતી. ધોની પહેલા દસ ક્રિકેટરો આ સન્માન મેળવી ચુક્યા છે. જેમાં સચિન તેંડુલકર, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ, ચંદુ બોર્ડે, ડીબી દેવધર, સીકે નાયડુ અને લાલા અમરનાથનો સમાવેશ થાય છે. બિલિયડ્ર્સ ખેલાડી પંકજ આડવાણીને પણ આ સન્માન મળી ચુક્યુ છે. ૨૦૧૧માં ટીમ ઈન્ડિયાએ સેમી ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. જ્યાં શ્રીલંકા સામે તેની ટક્કર થઈ હતી.
શ્રીલંકાની ટીમે વાનખેડે સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરતા જયવર્ધનેના ૧૦૩ રનની મદદથી ૨૭૪ રન બનાવ્યા હતા. ભારતે ૨૭૫ રન બનાવીને ૨૮ વર્ષ બાદ વર્લ્ડ ચેપિયન બનવામાં સફળતા મેળવી હતી. ધોનીએ છગ્ગો મારીને ભારતને વર્લ્ડ કપને જીતાડવામાં સફળતા મેળવી હતી. ૧૯૮૩માં કપિલ નેતૃત્વમાં ભારતે પ્રથમવાર ટ્રોફી જીતી હતી. આજે દેશના લોકો વર્લ્ડ કપના સાતમી વર્ષગાંઠ મનાવે છે. ધોનીના ઐતિહાસિક છગ્ગાના વિડિયો પણ લાખો ચાહકો શેયર કરી રહ્યા છે.
આગળની પોસ્ટ