ગુજરાતનું કર્ણાટક સાથેનું કનેક્શન અહીં પૂરું થશે એમ લાગતું નથી. કર્ણાટકમાં પણ હવે ગુજરાતવાળી કરવાની ગોઠવણ ચાલે છે તેવી ચર્ચા છે. ગુજરાતવાળી એટલે કર્ણાટકના હાલના વિપક્ષને ચૂંટણી પહેલાં જ તોડી નાખવો. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધરમૈયાએ હાલમાં જ નિવેદન આપ્યું છે કે ભાજપના કેટલાક નેતાઓ તેમના સંપર્કમાં છે. કર્ણાટકના ભાજપના ધારાસભ્યોને લાગે છે કે ભાજપ ડૂબતું જહાજ છે એટલે તેઓ કોંગ્રેસમાં જોડાવા માગે છે એમ તેમણે કહ્યું. ગુજરાતના પરિણામો આવી જાય એટલે કર્ણાટક ભાજપમાં મોટા ગાબડાં પડશે એવો ઇશારો તેઓ કરી રહ્યા છે. બીજી બાજુ કર્ણાટકની સ્થાનિક પરિસ્થિતિ પણ એવી ઊભી થઈ રહી છે કે કોંગ્રેસને સાનુકૂળ થાય. ગુજરાતમાં જુદા જુદા આંદોલનના કારણે ઊભી થયેલી સ્થિતિ કોંગ્રેસને સાનુકૂળ થઈ છે. જેડી(એસ) અને કોંગ્રેસ વચ્ચે ફરી ગઠબંધન થઈ શકે છે.
ગઠબંધન થાય તો મતો વહેંચાઇ જતા અટકે અને કોંગ્રેસને નુકસાન અટકે.ગુજરાતમાં પણ આ વખતે મતો વહેંચાઇ જતા અટક્યા છે અને તેના કારણે જ કોંગ્રેસને નુકસાનની ચિંતા ટળી છે તે વાતની અહીં સરખામણી થઈ શકે છે.
જેડી(એસ)ના નેતા દેવે ગોવડાએ સિદ્ધરમૈયાના વખાણ કર્યા છે. ગોવડાનો પૌત્ર યુવાન થયો છે અને તેને રાજકારણમાં લોન્ચ કરવાનો છે.
ગુજરાતમાં પણ યુવાન રાજકારણીઓ આ વખતે લોન્ચ થયા અને ઘણાં યુવા ધારાસભ્યો કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભામાં જઇ શક્યા છે.દેવે ગોવડાએ વખાણ કર્યા અને કહ્યું કે સિદ્ધરમૈયાની સરકારમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. આ મુદ્દો પણ મહત્ત્વનો છે, કેમ કે યેદીયુરપ્પા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપોથી જ ભાજપ મોવડીએ હટાવ્યા હતા.
કેન્દ્રસ્તરે ભાજપ કોંગ્રેસ સામે ભ્રષ્ટાચારનો મુદ્દો જ વધારે ચગાવે છે, પણ કર્ણાટકમાં તે મુદ્દો નહીં ચાલે તેવો ઇશારો દેવે ગોવડાએ કર્યો છે. કેશુભાઇએ ૨૦૦૭માં પોતાના ચેલા નરેન્દ્ર મોદીને મદદ કરી હતી અને કોંગ્રેસના મતો તોડ્યા હતા.
દેવે ગોવડા ૨૦૧૮માં પોતાના ચેલા સિદ્ધરમૈયાને કોંગ્રેસના મતો ના તૂટે તે રીતે મદદ કરવા તૈયાર થયા છે. આમ કર્ણાટકમાં ફરી એક વખત ગુજરાતવાળી જોવા મળે તો નવાઇ નહીં.
આગળની પોસ્ટ