કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર થયા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જુદા જુદા સમુદાયને પ્રભાવિત કરવાના છેલ્લા તબક્કાના પ્રયાસો શરૂ થઇ ચુક્યા છે. કર્ણાટકની રાજનીતિમાં લિંગાયત સમુદાય સૌથી મહત્વપૂર્ણ છે. લિંગાયત સમુદાયની પાસે રાજ્ય વિધાનસભાની ૨૨૪ બેઠકો પૈકી ૧૦૦ સીટો રહેલી છે. એટલે કે રાજ્યમાં ૧૭ ટકા વસતી લિંગાયત સમુદાયની રહેલી છે. ઉત્તરીય વિસ્તારમાં લિંગાયત સમુદાયના લોકો ભાજપની તરફેણમાં રહ્યા છે. જુદા જુદા સમુદાયની વાત કરવામાં આવે તો લિંગાયત સમુદાય ઉપરાંત દલિત, વોકલિંગા, અનુસુચિત જાતિ, મુસ્લિમો, ઓબીસી અને અન્ય જુદી જુદી જાતિઓની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. કર્ણાટકમાં લોકસભાની ૨૮ સીટો રહેલી છે જેમાં ૧૭ સીટો ભાજપની પાસે છે. કોંગ્રેસની પાસે નવ સીટો છે. બે સીટો જેડીએસની પાસે છે. લિંગાયત ભાજપના વોટબેંક અને વોકાલિંગા જેડીએસના સમર્થક તરીકે છે.
કર્ણાટકની ચૂંટણી હંમેશા મહત્વપૂર્ણ રહી છે. કર્ણાટક વિધાનસભાની ૨૨૪ સીટો પૈકી બહુમતિ માટેનો આંકડો ૧૧૩નો રહ્યો છે. ૨૦૧૩ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને ૩૬.૬ ટકા મત મળ્યા હતા અને ૧૨૨ સીટ મળી હતી. જેડીએસને ૪૦ સીટો મળી હતી અને ભાજપને પણ ૪૦ સીટો મળી હતી. અન્ય પક્ષોની તરફેણમાં ૨૨ સીટો આવી હતી. આ વખતે સાત ચહેરા ઉપર વિધાનસભાની ચૂંટણી લડવામાં આવનાર છે. ભાજપ તરફથી વડાપ્રધાન મોદી લાગેલા છે. કર્ણાટકમાં કુલ મતદારોમાં ૧૬ ટકા મતદારો મુસ્લિમોના પણ છે.