ટ્રમ્પ વહીવટીતંત્રએ આજે આક્રમક કાર્યવાહી કરીને ૬૦થી વધારે રશિયન રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી દીધી હતી. સાથે સાથે સિએટલ સ્થિત રશિયન દૂતાવાસને બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો. અમેરિકા અને યુરોપિયન દેશોએ રશિયાને બોધપાઠ ભણાવવાના હેતુસર આ પગલું લીધું હોવાના અહેવાલ મળ્યા છે. એવા આક્ષેપ છે કે, બ્રિટનમાં પૂર્વ જાસુસને ઝેર આપી દેવાના મામલામાં રશિયાનો પણ હાથ હતો. ટ્રમ્પ વહીવટીતંત્રના એક અધિકારીએ કહ્યું છે કે, તમામ ૬૦ રશિયન અમેરિકામાં રાજદ્વારી છત્ર હેઠળ જાસુસી કરી રહ્યા હતા. આમાથી આશરે એક ડઝન સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના મિશન ઉપર તૈનાત હતા. અધિકારીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ટ્રમ્પ વહીવટીતંત્રએ કઠોર પગલા લઇને રશિયન નેતાઓને સંદેશ આપી દીધો છે કે, આ પ્રકારના મામલાઓને ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. હકાલપટ્ટી કરવામાં આવેલા રશિયન અધિકારીઓ પાસે દેશ છોડવા માટે સાત દિવસનો સમય છે. અમેરિકી અધિકારીઓએ કહ્યું છે કે, કોઇ કારણોસર આ લોકોના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી રશિયા અને પ્રમુખ વ્લાદીમીર પુટિનની સામે લેવામાં આવેલા પગલામાં આને સૌથી મોટા પગલા તરીકે ગણવામાં આવે છે. એક સપ્તાહ પહેલા જ ટ્રમ્પે ફોન કરીને પુટિનને ફરી ચૂંટાઈ આવવા બદલ અભિનંદન આપ્યા હતા પરંતુ આ વાતચીત દરમિયાન જાસુસીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો. ટ્રમ્પના આ પગલા બાદ અનેક દેશો તરફથી પણ આવા જ પ્રકારના પગલા લેવાના અહેવાલ આવી રહ્યા છે. પોલેન્ડે રશિયાના રાજદૂતને વાતચીત માટે બોલાવ્યા છે. જાસુસને ઝેર આપવાના મામલામાં કઠોર પગલા લેવાઈ શકે છે. બ્રિટને પહેલાથી જ રશિયાના ૨૩ રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી દીધી છે.