કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું કે કુલ ૩૧ કરોડ જનધન ખાતાઓ માંથી આશરે ૨૦ ટકા ખાતાઓ નિષ્ક્રિય છે. રાજ્યના નાણા મંત્રી શિવપ્રતાપ શુક્લાએ રાજ્ય સભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે ફેબ્રુઆરી સુધી ખોલવામાં આવેલા આશરે ૩૧.૨૦ કરોડ જનધન ખાતાઓમાં કુલ જમા રકમ ૭૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધારે હતી, જેમાંથી ૨૫.૧૮ કરોડ ખાતાઓ માંથી લેવડ-દેવડ કરવામાં આવી રહી હતી. તેનો અર્થ એ છે કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ૬ કરોડથી પણ વધુ ખાતાઓ નિષ્ક્રિય છે.
શિવપ્રતાપ શુક્લાએ તેમ પણ કહ્યું કે આ યોજનાની શરૂઆત બાદથી ફેબ્રુઆરી સુધી આશરે ૫૯ લાખ જનધન ખાતાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું કે ખાતાધારકની વિનંતી પર જનધન ખાતાઓ બંધ કરવામાં આવ્યાં છે. કેટલાંક જનધન ખાતાના ધારકોના આગ્રહ પર બચત ખાતામાં ફેરફારના કારણે બંધ કરવામાં આવ્યાં.જનધન યોજનાની ઘોષણા ૧૫ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. તેનો શુભારંભ ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ કરવામાં આવ્યો હતો. આ યોજનાની સત્તાવાર શરૂઆત પહેલા વડાપ્રધાને તમામ બેન્કોને ઇ-મેઇલ મેકલ્યો જેમાં તેમણે દરેક પરિવાર માટે બેન્ક ખાતાને એક રાષ્ટ્રીય પ્રાથમિકતા ઘોષિત કર્યા અને સાત કરોડથી પણ વધારે પરિવારોને આ યોજનામાં પ્રવેશ આપવા અને તેમનાં ખાતા ખોલવા માટે તમામ બેન્કોને કમર કસવા માટે કહ્યું. યોજનાના ઉદઘાટનના દિવસે જ ૧.૫ કરોડ બેન્ક ખાતા ખોલવામાં આવ્યાં.