વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના ઇરાકના મોસુલમાં ૩૯ ભારતીયોના મોતના અહેવાલને સમર્થન બાદ પરિવારોની છેલ્લી આશા પણ તુટી ગઈ છે. ભારતીયો આજે ભાંગી પડ્યા હતા. જે ભારતીયોના મોત થયા છે તેમના પરિવારમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. તમામ પરિવારના સભ્યો છેલ્લા ત્રણ વર્ષથી સારા સમાચારની આશામાં હતા. ૩૯ પરિવારોમાં આજે વિદેશમંત્રીના નિવેદનથી સન્નાટો ફેલાઈ ગયો હતો. ઇરાકમાં માર્યા ગયેલા એક ભારતીયના સંબંધીએ મિડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, બે વખત ડીએનએ ટેસ્ટ લેવામાં આવ્યા હતા પરંતુ તેમના ભાઇ અંગે કોઇ માહિત આપવામાં આવી નથી. મૃતકના ભાઈએ કહ્યું હતું કે, અમને માહિતી મળી હતી કે, આતંકવાદીઓએ તમામનું અપહરણ કરી લીધું છે. ત્યારબાદ કોઇ માહિતી મળી રહી ન હતી. વિદેશરાજ્યમંત્રી વીકે સિંહે નિવેદન કરતા કહ્યું છે કે, દરેક ચીજમાં સમય લાગે છે. સુષ્મા સ્વરાજે પહેલા જ કહ્યું હતું કે, જ્યાં સુધી નક્કર પુરાવા નહીં મળે ત્યાં સુધી અપહરણ કરાયેલા ભારતીયોને મૃત જાહેર કરાશે નહીં. વીકે સિંહે કહ્યું હતું કે, સુષ્માએ વચન પાળ્યું છે. કોઇને ગેરમાર્ગે દોરવામાં આવ્યા નથી. ઇરાકના મોસુલમાં માર્યા ગયેલા મજિન્દરસિંહના પરિવારના સભ્યોએ કહ્યું છે કે, અમારા માટે ખુબ જ આઘાતજનક સમાચાર છે. મજિન્દરની બહેન ગુરપીન્દર કૌરે કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે, તેઓ જીવિત છે પરંતુ કોઇ નક્કર માહિતી મળી રહી ન હતી. પતિ દેવેન્દરસિંહની મોત અંગે પત્નિ મનજીતે કહ્યું હતું કે, તેના પતિ ૨૦૧૧માં ઇરાક ગયા હતા. ૧૫મી જૂન ૨૦૧૪ના દિવસે છેલ્લી વખત વાત થઇ હતી. જલંધરની નિવાસી અન્ય મૃતક સુરજીતકુમાર મેનકાની પત્નિએ કહ્યું હતું કે, તેના પતિ ૨૦૧૩માં ઇરાકમાં ગયા હતા. ૨૦૧૪માં અપહરણ કરી લેવાયું હતું. ઇરાકમાં માર્યા ગયેલા બિહારના સિવાન નિવાસી વિદ્યાભૂષણ તિવારીના સંબંધી પુરુષોત્તમ તિવારીએ કહ્યું છે કે, સરકાર સમક્ષ વારંવાર માહિતી મેળવવાના પ્રયાસ થયા હતા. રાજ્યસભામાં આજે સુષ્મા સ્વરાજે નિવેદન કરતી વેળા ભાવનાશીલ દેખાયા હતા. તેમણે કહ્યું હતું કે, તમામ મૃતલોકોના ડીએનએ મળી ગયા છે.
આગળની પોસ્ટ