આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું છે કે, અંતરિયાળ આદિજાતિ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ કાર્યરત છે. દાહોદ જિલ્લામાં ૧૦૪ શાળાઓના ૭૯૬૭ વિદ્યાર્થીઓને ૧.૬૬ કરોડની શિષ્યવૃતિ ચૂકવી દેવાઈ છે. વિધાનસભા ખાતે દાહોદ જિલ્લામાં ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી વસાવાએ ઉમેર્યું કે, દાહોદ જિલ્લામાં ૧૦૪ શાળાઓ કાર્યરત છે, તેમાં ૧૪૧૦૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ૭૯૬૭ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જમા થાય છે. બાકી છે તેમાં મુખ્યત્વે બેન્કોમાં ખાતા નથી, બેન્કો નથી, આધાર કાર્ડ નથી, તેના લીધે પેન્ડીંગ છે. આ તમામ કામગીરી પ્રગતિમાં છે. જે પૂર્ણ થતાં તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ચૂકવી દેવાશે.
અન્ને ઉલ્લેખનીય છે કે, આ ઉત્તર બુનિયાદી શાળામાં અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને જે શિષ્યવૃતિ ચૂકવાઈ છે, તેમાં ધોરણ ૧ થી ૫માં ભણતા કુમાર-કન્યાઓને ૫૦૦, ધોરણ ૬ થી ૮માં ભણતા કુમારોને ૫૦૦ તથા કન્યાઓને ૭૫૦ તથા ઉત્તર બુનિયાદી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ કે જે હોસ્ટેલમાં રહીને ભણે છે તેમને ૪૫૦૦ તથા ઘરે રહીને ઉચ્ચ અભ્યાસ કરે છે તેમને ૧૨૫૦ની શિષ્યવૃતિ ચૂકવાય છે. આ માટે અધિકારી-કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે.