આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઇને પોતાના બે સાંસદોના મંત્રીપદથી રાજીનામુ આપી દીધા બાદ ટીડીપીએ એનડીએ સાથે છેડો ફાડી લીધો છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીની તૈયારીથી પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે. વિધાનસભામાં નાયડુએ આજે કહ્યું હતું કે, અમે એનડીએનો સાથ છોડી ચુક્યા છે. અમે સ્વાર્થના હેતુસર નિર્ણય કરી રહ્યા નથી. બલ્કે આંધ્રપ્રદેશના હિતમાં નિર્ણય કરી રહ્યા છીએ. ચાર વર્ષથી તેઓએ દરેકરીતે પ્રયાસો કર્યા હતા. ૨૯ વખત દિલ્હી ગયા હતા. અનેક વખત પ્રશ્નો કર્યા હતા. કેન્દ્રનું આ અંતિમ બજેટ હતું. અહીં આંધ્રપ્રદેશ માટે કોઇ મોટી જાહેરાત પણ કરવામાં આવી ન હતી જેથી પ્રધાનોને પાછા બોલાવી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના વચનો હજુ પુરા થયા નથી. જો ખાસ દરજ્જાને લોકસભાના અધિનિયમમાં સામેલ કરવામાં આવ્યો હોત તો આ સ્થિતિ ઉભી થઇ ન હોત. ટીડીપીએ અનેક સંકટોનો સામનો કર્યો છે. અમે આ સ્થિતિમાંથી પણ બહાર આવીશું. વડાપ્રધાનને પત્ર લખ્યો હતો પરંતુ કોઇ જવાબ મળ્યા નથી. તેમણે ઉમેર્યું હતું કે, અરુણ જેટલીએ ભાવનાઓ સાથે રમત રમી હતી. અરુણ જેટલીએ લાપરવાહીપૂર્વકના નિવેદન કર્યા હતા. ભાવનાઓમાં ખુબ તાકાત હોય છે. અમે અન્યાય કરવાની સ્થિતિમાં ન હતા.