કોંગ્રેસના સાંસદ શશી થરુરના પત્નિ સુનંદા પુષ્કરના મોતના મામલામાં રહસ્ય હજુ પણ ઘેરા બનેલા છે. સાઉથ ડિસ્ટ્રીક્ટના ડીસીપી રહી ચુકેલા ભોલાશંકર જયસ્વાલે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, સુનંદાનું મોત સ્વાભાવિક મોત ન હતું. બલ્કે તેમની હત્યા કરવામાં આવી હતી. જયસ્વાલે પોતાનો રિપોર્ટ એ વખતના સદર્ન રેંજના જોઇન્ટ સીપીને સુપરત કર્યો હતો. તેઓએ એમ્સના પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, સુનંદાના શરીર ઉપર દાંતના ઇજાના નિશાન હતા. સાથે સાથે ઇન્જેક્શનના ઘાના નિશાન હતા. ઉપરાંત ઝપાઝપી થયા દરમિયાન ઇજાના નિશાન હતા. આ તમામ બાબતો હત્યા તરફ ઇશારો કરે છે. હત્યાના ચાર વર્ષ બાદ પણ પોલીસને હજુ કોઇ નક્કર કડી મળી રહી નથી. બાવન વર્ષીય સુનંદાના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ઝેરના કારણે તેનું મોત થયું હતું.