ગુજરાતમાં પોલિયો નાબૂદીના ભાગરુપે આજે પોલિયો રસીકરણ અભિયાનનો ફરીએકવાર પ્રારંભ થયો હતો. રાજ્યમાં ૯૦ લાખ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. પોલિયો રસીકરણ અભિયાનના રાઉન્ડ યથાવતરીતે આગળ પણ જારી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોલિયો રવિવાર અંતર્ગત આજે રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ અભિયાન પ્રારંભ મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી હોલમાં ભુલકાંઓને પોલિયોના બે ટીપા પીવડાવીને કરાવ્યો હતો. એમણે ગુજરાતમાં પોલિયો રસીકરણ ઝુંબેશને પરિણામે પાછલા દશકમાં પોલિયોનો એકપણ કેસ નોંધાયો નથી એની વિગત આપતાં કહ્યું કે, ભવિષ્યનું ગુજરાત પણ પોલિયો મુક્ત રહે એ માટે પ્રત્યેક માતા-પિતા પોતાના ૫ વર્ષ સુધીના ભુલકાઓને પોલીયોના ટીપા અચૂક પીવડાવે. આ વેળાએ રાજ્ય આરોગ્ય મંત્રી કિશોર કાનાણી અને આરોગ્ય કમિશ્નર જયંતી રવિ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ૮૫ લાખથી વધુ ૦ થી ૫ વર્ષના ભુલકાંઓને પોલિયો રસીકરણ તહેત આવરી લેવાશે. આ રસીકરણ ઝુંબેશમાં રાજ્યભરમાં ૩૭૫૦૩ બુથ ૭૫૦૧ સુપરવિઝન ટીમના માધ્યમથી ૧.૭૧ આરોગ્યકર્મીઓ સેવા આપી રહ્યા છે. રાજ્યના દુર દરાજના અંતરિયાળ વિસ્તારોમાં અને દરિયાઈ ક્ષેત્રોમાં ૩૫૪૯ મોબાઇલ ટીમ દ્વારા ભુલકાઓને પોલિયો ટીપા પીવડાવાશે. મુખ્યમંત્રીએ સઘન મિશન ઈદ્રધનુષ્ય અન્વયે રાજ્યની સગર્ભા માતાઓ અને બે વર્ષ સુધીના બાળકોને સંપૂર્ણ રસીકરણથી આવરી લેવા માટે ૧૯ માર્ચથી ૨૪ માર્ચ દરમ્યાન પાંચમો રાઉન્ડ શરૂ કરવામાં આવશે તેની પણ વિગતો આપી હતી. આ સઘન મિશનનો પ્રારંભ પ્રધાનમંત્રીના વતન વડનગરથી તા. ૮મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં ૪ રાઉન્ડમાં આ સઘન મિશન તહેત ૧૯૫૬૦૦ બાળકો અને ૪૩૩૨૭ સગર્ભા માતાઓને આવરી લેવામાં આવી છે. એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ સઘન મિશન ઇંદ્રધનુષનું મોનીટરીંગ અને દેખરેખ પ્રધાનમંત્રી કાર્યાલયના પ્રગતિ પ્લેટફોર્મ મારફત કરવામાં આવે છે.
પાછલી પોસ્ટ