વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં કેટલાક વિસતારોમાં મૂર્તિઓ તોડવાની ઘટનાનો પર સખત નારાજગી વ્યક્ત કરી છે. ત્રિપુરામાં ભાજપનાં ઐતિહાસીક વિજય પછી બેલોનિયા ટાઉનમાં કૉલેજ સ્ક્વેર સ્થિત રશિયન ક્રાંતિનાં નાયક વ્લાદિમીર લેનિનની મૂર્તિ તોડવામાં આવી હતી. ત્યારબાદ મંગળવારનાં રોજ તમિલનાડુમાં પેરિયાર અને પછી કોલકત્તામાં શ્યામા પ્રસાદ મુખર્જીની મૂર્તિને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. મોદીની આ નારાજગીને ત્રિપુરાનાં વિજય બાદ ભાજપનાં કાર્યકર્તાઓને અતિ ઉત્સાહમાં નહીં આવી જવા માટેનાં સંદેશ તરીકે પણ માનવામાં આવ્યું છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આ ઘટનાઓથી નારાજ થયેલ પીએમ મોદીએ ગૃહ મંત્રી રાજનાથ સિંહ સાથે આ વિષય પર વાતચીત કરી. આવી ઘટનાઓ ના બને તે માટેનાં પગલાઓ ઉઠાવવા અંગે પણ સૂચનાઓ આપી. ગૃહ મંત્રાલયે રાજ્યોમાં મૂર્તિ તોડનાર અને અન્ય કોઈ પણ પ્રકારની હિંસક પ્રવૃત્તિઓ કરવા પર રોક લગાવવા માટેનાં કડક પગલાઓ ભરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા પત્ર અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રીએ ત્રિપુરા અને તમિલનાડુ સહિત દેશનાં બીજા વિસ્તારોમાં પણ મૂર્તિ તોડવાની ઘટનાઓને લઈને નારજગી વ્યક્ત કરી છે. ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને આવી ઘટનાઓ કરનારા લોકો સામે કડક પગલા ભરવાનાં અને ફરીથી આવું કંઈ ના થાય તેવી સુરક્ષા વ્યવસ્થા કરવાનાં સૂચનો કર્યા છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુનાં વેલ્લોર જિલ્લામાં મંગળવાર રાત્રે સમાજ સુધારક તેમજ દ્રવિડ આંદોલનનાં સંસ્થાપક ઈ વી રામાસામી ’પેરિયાર’ની પ્રતિમાને નુકશાન પહોંચાડ્યું હતું. પોલિસ દાવો કરી રહી છે કે આ કાર્ય દારૂનાં નશામાં બે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી છે. જિલ્લાનાં એક વરિષ્ઠ પોલિસ ઓફિસરે જણાવ્યું છે કે જે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે તેમની ઓળખાણ મુથુરામન અને ફ્રાંસિસ તરિકે કરવામાં આવી છે અને બંને વ્યક્તિઓએ દારૂનાં નશામાં આવીને મૂર્તિને નુકશાન પહોંચા઼્યું હતું. ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલ પત્રમાં ત્રિપુરા અને તામિલનાડુ સહિત બધા જ રાજ્યોમાં આવી ઘટનાને વખોડી કાઢવા સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે ત્રિપુરામાં એક ટોળાએ ભારત માતા કી જયના નારા સાથે લેનિનની પ્રતિમાને તોડી નાખી હતી. તો તામિલનાડુમાં પણ દ્રવિડ સુધારક પેરિયારની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. વિપક્ષોએ આ માટે ભાજપને દોષિત ગણાવ્યું છે. તો આ દરમિયાન તામિલનાડુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ તમિલીસાઈ સૌંદર્યરાજને પેરિયારની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપી મુથુરામનને પાર્ટીમાંથી દૂર કર્યો હતો. ત્યારે તામિલનાડુમાં ભાજપના કાર્યાલય પર બોમ્બ ફેકવાની પણ ઘટના બની છે. મંગળવારે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે પેરિયારની પ્રતિમાની તોડફોડ બાદ બની છે.
આગળની પોસ્ટ