શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું છે કે, રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને સસ્તુ શિક્ષણ ઘર આંગણે જ પુરૂ પાડવું એ અમારી પ્રાથમિકતા છે. રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એકટનો ચુસ્તપણે અમલ કરીને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં બે વર્ષમાં ૩૮૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. વિધાનસભા ખાતે સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં આરટીઈ એકટ હેઠળ પ્રવેશ અંગે પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે, આરટીઈ એક્ટનો ૨૦૦૯માં અમલી બનાવ્યો છે. રાજ્યમાં તેનો ૨૦૧૩થી અમલ કરાયો છે. જિલ્લાકક્ષાએ શરૂઆતમાં ડીઈઓ અને ડીપીઓ દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાતી હતી પરંતુ વર્ષ-૨૦૧૭-૧૮થી પારદર્શી પ્રવેશ માટે રાજ્ય સરકારે વેબ પોર્ટલ કાર્યાન્વિત કરાયું છે. જેના દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાય છે. જે વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ મેળવવાનો રહી ગયો હોય તો ઓફલાઇનથી પણ પ્રવેશ અપાય છે. જેમાં ૬ કિ.મીની મર્યાદામાં શાળાની ઉપલબ્ધી ન હોય તો નજીકની શાળામાં પ્રવેશ અપાય છે. આ એકટમાં પ્રવેશ બાદ શાળા ફેરબદલીની જોગવાઇ ન હોવા છતાં રાજ્ય સરકાર સામેથી સુઓમોટોના ધોરણે વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ વિવિધ કારણોસર શાળાની ફેરબદલી પણ કરી આપવામાં આવે છે. આ કાયદાનો અમલ ન કરનાર શાળાઓને પ્રથમ વખત ૧૦ હજાર અને પછીની દરેક ભુલમાં ૧૫ હજાર પ્રતિભુલ મુજબ દંડ વસુલવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાની ૩ શાળાઓને ૨,૪૫,૦૦૦નો દંડની નોટીસ આપવામાં આવી છે. અન્ને ઉલ્લેખનીય છે કે, આરટીઈ એક્ટ હેઠળ વિવિધ કેટેગરીઓમાં ૨૫ ટકા મુજબ પ્રવેશ આપવામાં આવે છે. જેમાં અનાથ, દિવ્યાંગ, બી.પી.એલ અનુ.જાતિ, જનજાતિ સહિત સામાન્ય કેટેગરીમાં પણ પ્રવેશ અપાય છે.