વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજધાની દિલ્હીમાં મળેલા ભારત-કોરિયા વ્યાપાર સંમેલનને સંબોધતા જણાવ્યું કે આ સંમેલનથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે. તેમણે કહ્યું કે વર્ક ફોર્સમાં અમે પહેલાથી દુનિયાનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર છીએ. અમે બહુ ટૂંકા સમયમાં જીડીપી આધારીત દુનિયાનું સૌથી મોટું પાંચમું અર્થતંત્ર બની જઇશું.અમે ભારતને જૂની સંસ્કૃતિમાંથી નવા આધુનિક સમાજમાં અને ઇનફોર્મલ ઇકોનોમીમાંથી ફોર્મલ ઇકોનોમીમાં ફેરવવાના મિશન પર કામ કરી રહ્યા છીએ.આજે અમે વિશ્વમાં સૌથી ઝડપી ગતિથી વધતુ અર્થતંત્ર છીએ.ભારત-કોરિયા બિઝનેસ સમિટમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોરિયા અને ભારત વચ્ચે અનેક સમાનતાઓ છે. બુદ્ધની વાત હોય કે બોલિવુડની કે પછી પ્રિન્સેસથી લઇને પોએટ્રી સુધી દરેકમાં બંને દેશો વચ્ચે સમાનતા જોવા મળે છે. દુનિયામાં થોડાક જ એવા દેશો છે કે જેમાં તમને અર્થતંત્રમાં ત્રણેય મહત્વના ફેક્ટર એક સાથે જોવા મળે છે- ડેમોક્રસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડ. અને અમે ગર્વ સાથે કહી શકીએ છીએ કે ભારતમાં આ ત્રણેય હાજર છે.જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે કોરિયા ગયો હતો. મને આશ્ચર્ય થયું હતું કે એક દેશ આ રીતે પ્રગતિ કેવી રીતે કરી શકે છે.તેમણે કોરિયાના આંત્રપ્રેન્યોરના વખાણ કરતા જણાવ્યું કે જે રીતે કોરિયાએ પોતાની બ્રાંડને વિશ્વ સ્તરે રજૂ કરી છે તે આશ્ચર્ય પમાડે છે અને તેની પ્રશંસા કરવી જોઇએ. તેમણે કહ્યું કે આઇટી, ઇલેક્ટ્રોનિકથી લઇને ઓટોમોબાઇલ અને સ્ટીલ સુધી કોરિયાએ વિશ્વને સારા ઉત્પાદનો આપ્યા છે.