પાકિસ્તાન ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપતા તેમને ક્રિકેટ સંબંધિત મામલાઓમાં ચેરમેન નઝમ સેઠીના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. તેવામાં પાકિસ્તાનના આ પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલરને પીસીબીનો બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યો છે.
આ અંગે શોએબે ટિ્વટ કરીને જણાવ્યું કે હું આ નિયુક્તિથી પોતને સન્માનિત થયા હોવાનું અનુભવી રહ્યો છું. હું તે જ જુસ્સા સાથે કામ કરીશ, જે જુસ્સા સાથે હું ક્રિકેટ રમતો હતો.જો કે અગાઉ સેઠી અને અખ્તર વચ્ચે ઘણાં વિવાદો થયા છે. ૨૦૧૫ના વર્લ્ડ કપમાં વેસ્ટઇન્ડિઝ સામે કારમી હાર મેળવ્યા બાદ અખ્તરે સેઠી સહિત આખા પીસીબી મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવ્યા હતાં.સેઠી જ્યારે ૨૦૧૩માં ચેરમેન હતાં ત્યારે ખ્તરે કહ્યું હતું કે સેઠીના રહેતા પાકિસ્તાન ક્રિકેટ બરબાદ થઇ રહ્યું છે અને તેમણે સમજવાની જરૂર છે કે તેઓ ચેરમેન છે ટીવી એન્કર નહી. જો કે હવે એવું લાગી રહ્યું છે કે તેમની વચ્ચેનો વિવાદ હવે દૂર થઇ ગયો છે અને તે જ કારણે અખ્તરને પીસીબી સાથે જોડાવાની તક મળી છે.