શેરબજારમાં આજે ફરી એકવાર તીવ્ર કડાકો બોલી ગયો હતો. આજે કારોબારના અંતે સેંસેક્સ ૨૮૭ પોઇન્ટ ઘટીને ૩૪૦૧૧ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૯૩ પોઇન્ટ ઘટીને ૧૦૪૫૨ન નીચી સપાટી પર રહ્યો હતો. મોટા સ્થાનિક અને વિદેશ પરિબળોની ગેરહાજરીમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં આજે મંદી રહી હત. કારોબારના છેલ્લા કલાકમાં ઇન્ડેક્સમાં મંદી રહી હતી. નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં બે ટકાથ વધુનો ઘટાડો રહ્યો હતો. જે શેરમાં આજે મોટો કડાકો રહ્યો હતો તેમાં બેંક ઓફર બરોડામાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇડીબઆઇ અને સિન્ડીકેટ બેંકના શેરમાં ૨-૩ ટકા વચ્ચેનો ઘટાડો રહ્યો હતો. અન્ય માર્કેટમાં પણ ઉતારચઢાવની સ્થિતી જોવા મળી હતી. સીપીઆઇ-આધારિત ફુગાવો ડિસેમ્બરમાં ૫.૨૧ ટકા રહ્યા બાદ જાન્યુઆરીમાં ૫.૦૭ ટકા રહ્યો છે. આવી જ રીતે હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં છ મહિનાની નીચી સપાટી ઉપર પહોંચી ગયો છે. ફુગાવો ૨.૮૪ ટકાની નીચી સપાટીએ પહોંચતા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને રાહત થઇ છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થયો છે. બીજી બાજુ શાકભાજીની કિંમતોમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે. ગયા ગુરુવારે સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા.તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા હતો.એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો. સેંસેક્સમાં ગઇકાલે ગુરૂવારના દિવસે ૧૪૨ પોઇન્ટનો સુધારો થયો હતો જેથી તેની સપાટી ૩૪૨૯૭ની રહી હતી. જ્યારે નિફ્ટી ૪૫ પોઇન્ટ સુધરીને ૧૦૫૪૬ની ઉંચી સપાટી પર રહ્યો હતો.