વિદેશીઓમાં સારવાર માટે ભારત મનગમતું સ્થળ બની ગયું છે. મેડિકલ સેકટરમાં ભારતની લોકપ્રિયતા વિશ્વભરમાં વધી રહી છે. ૨૦૧૬માં ૧,૬૭૮ પાકિસ્તાનીઓ અને ૨૯૬ અમેરિકનો સહિત બે લાખ કરતાં પણ વધાવે વિદેશીઓ ભારત આવ્યા હતા અને તબીબી સેવાઓનો લાભ લીધો હતો.ગૃહ મંત્રાલયની માહિતી પ્રમાણે ૨૦૧૬માં વિશ્વભરના ૫૪ દેશોના ૨,૦૧,૦૯૯ નાગરિકોને મેડિકલ વીઝા જારી કરાયા હતાં. ભારતે ૨૦૧૪માં વીઝા નીતિ ઉદાર બનાવી હતી.
વેપાર-ઉદ્યોગ સંગઠને યોજેલા સર્વેના તારણો મુજબ વિદેશની સરખારણીએ દેશમાં તબીબી સુવિધા ખુબ જ સસ્તામાં ઉપલબ્ધ છે. આ કારણે જ ભારત સારવાર માટે મુખ્ય કેન્દ્ર બન્યું છે. દેશમાં મેડિકલ ટુરિઝમ ત્રણ અબજ ડોલરને આંબી ગયો હોવાનું અનુમાન છે અને ૨૦૨૦ સુધીમાં સાતથી આઠ અબજ ડોલર સુધી પહોંચી જવાની શક્યતા છે. આંકડાકીય માહિતી મુજબ ૨૦૧૬માં સૌથી વધારે ૯૯,૭૯૯ મેડિકલ વીઝા બાંગ્લાદેશી નાગરિકોને આપવામાં આવ્યા હતાં. અફઘાનિસ્તાનને ૩૩,૯૫૫, ઓમાનને ૧૨,૨૭૭, ઉઝબેકિસ્તાનને ૪,૪૨૦, નાઈજિરિયાને ૪,૩૫૯ મેડિકલ વીઝા અપાયા હતાં. આ જ રીતે ૧,૬૭૮ પાકિસ્તાનીઓ, ૨૯૬ અમેરિકનો, ૩૭૦ બ્રિટિશ,૯૦ રશિયન અને ૭૫ ઓસ્ટ્રેલિયન નાગરિકોને મેડિકલ ટુરિઝમ વીઝા આપવામાં આવ્યા હતાં.