વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે ઓમાન પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકોને ખાસ અદામાં સંબોધન કર્યું હતું. ઓમાનના સૌથી મોટા મેદાન ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોદીએ ૨૫૦૦૦થી પણ વધુ ભારતીય લોકોને સંબોધન કર્યું હતું. મોદીએ અહીં તમિળ, તેલુગુ, ગુજરાતી અને અન્ય જુદી જુદી ભાષામાં ભાષણની શરૂઆત કરી હતી અને ભારત અને ઓમાન વચ્ચે સંબંધોની વાત કરી હતી. મોદીએ એમ પણ કહ્યું હતું કે, ઓમાનમાં તેમનું ભવ્ય સન્માન થયું છે. આના માટે તેઓ આભારી છે. અગાઉ મોદી દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. અહીં મોદીએ નવા મંત્રથી દુનિયાને વાકેફ કરાવ્યા હતા. અલગ અલગ શબ્દોના પ્રથમ અક્ષરને જોડીને પોતાની વાત કહેવામાં નિષ્ણાત મોદીએ આ વખતે છ આરનો મંત્ર આપ્યો હતો. મોદીએ સતત વિકાસની વાતના સંદર્ભમાં બોલતા કહ્યું હતું કે, આજના સમયમાં આ રસ્તા પર છ મહત્વપૂર્ણ શબ્દોના આધાર પર જઈ રહ્યા છે. મોદીએ છ આર એટલે રિડ્યુસ, રિયુઝ, રિકવર, રિડિઝાઇન અને રિમેન્યુફેક્ચરની વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, આ છ પગલાથી અમે જે સ્તર ઉપર પહોંચીશું તે રિજોયસ અથવા તો આનંદદાયક રહેશે. મોદીએ કહ્યું હતું કે, વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં તેઓ મુખ્ય મહેમાન બન્યા છે જે તેમના માટે જ નહીં બલ્કે ૧૨૫ કરોડ ભારતીય માટે ગર્વની વાત છે. ઓમાનમાં મોદી દુબઈથી સીધા પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આજે ભારતના વિકાસની નોંધ લેવાઈ રહી છે. દુબઈમાં મોદીએ સંબોધનમાં દુબઈને દુનિયા માટે એક દાખલો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, ટેકનોલોજી મારફતે એક રણને ટેકનોલોજીગ્રસ્ત બનાવી દેવાયું છે. આજે દુબઈ ટેકનોલોજી માટે વિશ્વમાં જાણિતુ છે.
આગળની પોસ્ટ