અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ મિશ્ર ઋતુ જોવા મળી છે. જોકે જળસંકટના સમાચારથી સરકાર પરેશાન છે અને ખેડૂતો ચિંતિત છે. હજુ તો શિયાળાએ પૂરી વિદાય લીધી નથી. ત્યાં રાજ્યભરમાં જળસંકટની શરૂઆત થઈ છે જેમાં રાજ્યના સૌથી મોટો સરદાર સરોવર ડેમ, કડાણા ડેમ, ઉકાઇ, શેત્રુંજી અને ધરોઈ જેવા મહત્વના ડેમના જળસ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ૧૦ મહત્વના ડેમમાં ૪૫ ટકા જેટલુ પાણી બચ્યુ છે. અને સતત ઘટી રહ્યુ છે.નર્મદા નદીને મોક્ષદાયિની નદી કહેવાય છે. અમર કંટકના પહાડોથી ખળખળ વહેતી નદી ક્યારેક રેવા તો ક્યારેક નર્મદા તરીકે ઓળખાય છે. જોકે આજે પાણીમાં જળસ્તર ઘટતા તે પીવાલાયક પણ રહ્યુ નથી. કેનાલથી થોડુ ઘણુ જે પાણી પહોંચે છે. ત્યાં તંત્ર કાંતો પાઈપ લાઈન કાપી રહી છે. કે ક્યાંક પોલીસનો પહેરો લગાવી રહી છે.ખળખળ પાણીના અવાજ સાથે વહેતી આ જીવતી નદી સરદાર સરોવર ડેમ પાસે પણ ચિંતાજનક સ્થિતિમાં છે. મોક્ષદાયિની નર્મદા નદીના પુનરોધ્ધારની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. આજે તો ચાંદોદ, કરનાળી પાસે નર્મદા નદીની સ્થિતિ દયનિય થઈ છે. નર્મદાના કિનારે આવેલા ખેતરોને પણ પાણી મળી રહ્યુ નથી. તો સાથે જ નદીના પાણી પર નાવ સરકાવીને મુસાફરોને એક સ્થળેથી બીજે સ્થળે લઈજતા બોટ ચાલકોનો ધંધો તો ભાંગી પડ્યો છે.