એસસી.એસસી એક્ટમાં નોંધનીય ફેરફાર સાથેની માર્ગદર્શિકા જારી કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં દલિત સમાજ દ્વારા અપાયેલા ભારત બંધના એલાન બાદ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં હિંસા, તોડફોડ અને આગચંપીની અસંખ્ય ઘટનાઓની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ શહેરમાં પણ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આખરે બંધ દરમ્યાન થયેલી હિંસા, તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બદલ છ થી વધુ ફરિયાદ દાખલ કરી છે અને અત્યારસુધીમાં ૪૦થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદમાં પોલીસે ચાંંદખેડા,ગોમતીપુર,કાલુપુર,ખાડીયા, શાહીબાગ જેવા વિસ્તારોમાં ગુના દાખલ કરી આકરી કાર્યવાહી હાથ ધરી છે. તો, ચાંદખેડામાં કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રીબેન સહિતના લોકો સામે પણ પોલીસે પોલીસ પર હુમલો અને પોલીસની કામગીરીમાં દખલગીરીનો ગુનો દાખલ કર્યો છે.અમદાવાદમાં ૩૦૦૦ લોકોના ટોળા સામે રાયોટિંગ, લૂંટ, પોલીસ પર હુમલા સહિતના ગંભીર ગુના નોંધી ૪૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દલિત સમાજના બંધના એલાનને લઇ ગઇકાલે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં બંધના એલાનના મિશ્ર પ્રત્યાઘાત જોવા મળ્યા હતા પરંતુ બંધનું એલાન હિંસક અને જલદ બની રહ્યું હતું. જેને લઇ રાજયભરના લોકોમાં એક પ્રકારે દહેશતની લાગણી ફેલાઇ ગઇ હતી. દલિત વિસ્તારોમાં બંધનું એલાન સજ્જડ રહ્યું હતુ તો, બીજા વિસ્તારોમાં બંધની અસર નહીવત્ જણાઇ હતી. જો કે, ગઇકાલે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રોષે ભરાયેલા દલિત સમાજના લોકોએ જાહેરમાં રસ્તા પર આવી જઇ એએમટીએસ બસ, એસટી બસ, પોલીસ વાન સહિતની જાહેર મિલકતોને નુકસાન, તોડફોડ અને આગચંપીની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો, જેને લઇ બપોર પછી શહેર સહિત રાજયભરમાં અંજપાભરી સ્થિતિ જોવા મળતી હતી. દલિત સમાજમાં ઉગ્ર આક્રોશ ભભૂકેલો જોઇ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી હતી. સ્થિતિની ગંભીરતા ધ્યાને લઇ રાજય સરકાર અને ગૃહવિભાગે પોલીસ પાસેથી ડિટેઇલ્ડ રિપોર્ટ માંગ્યો હતો. અમદાવાદમાં જ દલિત સમાજે ૩૫થી વધુ બસોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડયુ હતું. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજે દલિત સમાજના દેખાવોમાં દલિત મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનમાં આગળ પડતી રહી હતી. ચાંદખેડામાં મોડી સાંજે દલિતોના તોફાની ટોળાએ જોરદાર પથ્થરમારો કર્યો હતો, જેમાં ત્રણ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિત પાંચ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. બંધના એલાન દરમ્યાન વિરોધ-પ્રદર્શન વખતે કરાયેલી હિંસા, તોડફોડ અને આગચંપીની ઘટનાને પગલે શહેર પોલીસે સીસીટીવી ફુટેજ અને અન્ય કડીઓના આધારે ગુનેગારો સામે આકરી કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં પોલીસે ચાંંદખેડા, ગોમતીપુર, કાલુપુર, ખાડીયા, શાહીબાગ જેવા વિસ્તારોમાં દલિત સમાજના ૩૦૦૦ લોકોના ટોળા સામે રાયોટિંગ, લૂંટ, પોલીસ પર હુમલા સહિતના ગંભીર ગુના નોંધી ૪૦થી વધુ લોકોની ધરપકડ કરી હતી, જેમાં ચાંદખેડાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રાજશ્રીબહેન કેસરી તથા તેમની માતા વિરૂધ્ધ પોલીસ પર હુમલાની ફરિયાદ નોંધવામાં આવતાં રાજકારણ ગરમાયું હતું. દરમ્યાન અમરાઇવાડીના નાગરવેલ પોલીસ ચોકી સામે આવેલ મથુર માસ્ટર એસેટ્ટે, લક્ષ્મી એસ્ટેટ, બીએમ એસ્ટેટમાં ગઇકાલે દલિતોના ટોળા દ્વારા બંધ દરમ્યાન કરાયેલી તોડફોડ અને નુકસાન બદલ એસ્ટેટના વેપારીઓ આજે તોફાની ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા અમરાઇવાડી પોલીસમથક પહોંચ્યા હતા.