ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રામ મંદિર મુદ્દે રાજનીતિમાં ફરીથી એક વાર ગરમાવો પેદા કરી દીધો છે. મળતી માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રીએ રામ મંદિર પર શિયા સમુદાયે પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ તેમણે સુન્નિઓ પણ આ મુદ્દે સમર્થન આપશે તેવી આશા વ્યક્ત કરી હતી. ગિરિરાજ સિંહે વધુમાં તેમ જણાવ્યું કે હિંદુ અને મુસલમાન રામ મંદિરનાં નિર્માણ માટે આગળ આવશે. તેઓએ એક સવાલનાં જવાબમાં એમ કહ્યું કે જો રામ મંદિર ભારતમાં નહીં બને તો શું રામ મંદિર પાકિસ્તાનમાં બનશે?તેમણે આ વાત શનિવારનાં ૩જી જાન્યુઆરીનાં રોજ થાણેમાં ૨૫માં રાષ્ટ્રીય કવિ સંમેલનનાં ઉદ્ધાટનનાં મોકા પર કરી હતી. તમને જણાવી દઇએ કે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશ શિયા કેન્દ્રીય વક્ફ બોર્ડે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ સ્થળને લઇ અનેક દશકાઓથી ચાલી આવતો આ વિવાદ કે જેને ઉકેલવા માટે ઉચ્ચતમ ન્યાયાલયમાં પ્રસ્તાવ સોંપતા જણાવ્યું હતું કે અયોધ્યામાં મંદિર બનાવી શકાય અને મસ્જિદ લખનઉમાં બનાવી શકાય.