સુપ્રીમ કોર્ટના ફી નિયમન અંગેના ચુકાદાને આવકારતા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આજે જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નીતિ અને નિયતથી વાલી અને વિદ્યાર્થીઓના હિતની જીત થઇ છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ફી નિયમન કાયદો લાવીને ભાજપ સરકારે વ્યાપક હિતમાં અનેક કાયદાકીય સંઘર્ષ કરીને પોતાની મક્કમ કટિબદ્ધતા દર્શાવી છે. કોંગ્રેસે વાલી અને વિદ્યાર્થીઓની લાગણી વિરુદ્ધ પગલું ભર્યું હતું. શાળા સંચાલકો વધુ ફી ઉઘરાવી શકે તે સંદર્ભે કોર્ટમાં કેસ લડવા માટેની જવાબદારી કોંગ્રેસના નેતાઓએ હાથમાં લીધી હતી. ફી વધારનાર સંચાલકોની સાથે કોંગ્રેસનો હાથ રહ્યો છે તે બાબત તમામ લોકો જોઇ ચુક્યા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં ભાજપ સરકારે તમામ મોરચે સંઘર્ષ કરીને સતર્કતા દાખવી હતી. રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમકોર્ટના ચુકાદા સંદર્ભે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, રાજયની સ્વનિર્ભર શાળાઓમાં ફી નિયમન અંગેના ગુજરાત સરકારના અધિકારને ખુદ સુપ્રીમકોર્ટે માન્ય રાખ્યો છે. સુપ્રીમકોર્ટનો આ ચુકાદા અન્વયે ફી નિયમન કાયદો સીબીએસઇ સહિતના તમામ બોર્ડને પણ લાગુ પડશે.ફી નિયમન કાયદા અંગે સુપ્રીમકોર્ટ દ્વારા આજના તેના મહત્વના આદેશમાં સૂચવાયેલા સંબંધિત સુધારાઓ મુજબ જરૂરી ફેરફાર અને સુધારાવધારા કરવા માટે સરકાર ઝડપથી અમલીકરણ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર સુપ્રીમકોર્ટના આ ચુકાદાનો અભ્યાસ કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરશે. જો કે, સુપ્રીમકોર્ટના આજના ચુકાદાથી રાજય સરકારની સત્તા અને અધિકારને બહાલી મળી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ