૩૧ ગામોને જમીન પાછી આપવા અને ૩૧ ગામોને નર્મદા સિંચાઈ યોજનાનું પાણી પૂરૂ પાડવાની માંગણી સાથે આજે કોળી સમાજના લોકો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના રાજકોટ સ્થિત નિવાસસ્થાને દેખાવો અને ઘેરાવો કરવા પહોંચ્યા હતા. જો કે, મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર પહેલેથી જ અગમચેતીના પગલાંરૂપે ગોઠવી દીધેલા પોલીસ બંદોબસ્તના કારણે કોળી સમાજનો કાર્યક્રમ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકયો ન હતો અને પોલીસે દેખાવો કરવા આવેલા પૈકી ૨૫ પ્રદર્શનકારીઓની અટકાયત કરી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી. કોળી સમાજના લોકોએ આજે તેમના કાર્યક્રમ દરમ્યાન ભાજપ સરકાર અને મુખ્યમંત્રી વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે, કોળી સમાજની સરકાર સામેની નારાજગી ખાસ કરીને મુખ્યમંત્રી સામેના દેખાવોને લઇ રાજયભરમાં ભારે ચકચાર જાગી હતી. કોળી સમાજ વિરૂધ્ધ સોશિયલ મીડિયા પર કરવામાં આવતી અભદ્ર ટીપ્પણી અને સમાજને થતા અન્યાયને લઈ કોળી સમાજમાં છેલ્લા કેટલાક સમયથી ભારોભાર નારાજગી પ્રવર્તી હતી. દરમ્યાન ૩૧ ગામોને જમીન પાછી આપવા અને ૩૧ ગામોને નર્મદા સિંચાઈ યોજનાનું પાણી પૂરૂ પાડવાની માંગણી સાથે આજે કોળી સમાજના લોકો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના રાજકોટ સ્થિત નિવાસસ્થાને દેખાવો અને ઘેરાવો કરવા પહોંચ્યા હતા. કોળીસમાજના આ પ્રદર્શન અને વિરોધને લઇ તંત્ર દ્વારા પહેલેથી જ મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર અને ફરતે ડીસીપી, પીઆઇ, પીએસઆઇ સહિતના ૫૦થી વધુ પોલીસ અધિકારીઓ અને સુરક્ષા જવાનોનો કાફલો તૈનાત કરી દેવાયો હતો. તો સાથે સાથે મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાને લઇ એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તેમજ એસઆરપીની પણ મદદ લેવામાં આવી હતી. દરમ્યાન કોળી સમાજના નારાજ અને રોષે ભરાયેલા લોકો મુખ્યમંત્રી અને ભાજપ સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરતાં કરતાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને જેવા પહોંચ્યા કે, પહેલેથી જ એલર્ટ પોલીસ અને સુરક્ષા જવાનો દ્વારા ૨૫ જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત કરી લીધી હતી અને દેખાવો-પ્રદર્શન ઉગ્ર બનતાં પહેલાં ડામી દીધુ હતું. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને પોલીસવાનમાં બેસાડી સ્થાનિક પોલીસમથકે લઇ જવાયા હતા. જયાં ઔપચારિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મોડી સાંજે તેઓને મુકત કરાયા હતા. મુખ્યમંત્રીના નિવાસસ્થાને આજે કોળી સમાજના દેખાવોને લઇ રાજયભરમાં ભારે રાજકીય ચર્ચા ચાલી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ