પાકિસ્તાન માટે ભારત અને અન્ય પાડોશી દેશોમાં આતંકવાદને પ્રોત્સાહન આપવું તેની વિદેશ નીતિનો ભાગ છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા ભારતમાં ગત ત્રણ દશકાઓથી સતત આતંકવાદને જીવતો રાખવાની કોશિશ થઈ રહી છે. આઈએસઆઈ આના માટે મજહબી કાર્ડ ખેલી રહી છે અને જમ્મુ-કાશ્મીરને હાલ તેણે નિશાન બનાવ્યું છે. ભારતીય સેનાની કડક કાર્યવાહીના પગલે ભરવા પડેલા પારોઠના પગલાને કારણે સરહદની પેલે પાર આતંકના આકાઓમાં ભારે ખળભળાટની સ્થિતિ હોવાથી તેઓ નવા ઉમ્બાડિયા કરવાની કોશિશમાં હોવાની પણ આશંકા છે.
આતંકી ટ્રેનિંગ કેમ્પમાં ઈલેક્ટ્રોનિક સર્વિલાન્સ સિસ્ટમ, અત્યાધુનિક અમેરિકન અને ચાઈનિઝ બનાવટના હથિયારો અને જીપીએસની કમાન્ડને બદલવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.
આ રિપોર્ટ સિવાય સરકારને વધુ એક રિપોર્ટ મળ્યો છે. તેના પ્રમાણે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ભારતમાં મોકલવા માટે નવા આતંકવાદીઓની ભરતી કરી રહી છે. લશ્કરે તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાની આતંકી સંગઠનોને આઈએસઆઈ દ્વારા ભારતીય સુરક્ષાદળોને વધુમાં વધુ નિશાન બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. પુલવામા, શોપિયાં અને કુપવાડા જિલ્લામાં આવા પ્રકારના હુમલા કરવા માટે આઈએસઆઈએ નિર્દેશો આપ્યા છે.
સુરક્ષાદળોને નિશાન બનાવવાની આ નાપાક સાજિસની પાછળ પાકિસ્તાની આતંકવાદીઓનું સતત તૂટી રહેલું મનોબળ પણ જવાબદાર છે. ગત વર્ષે ભારતીય સુરક્ષા દળોએ ૨૧૫થી વધારે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તાજેતરના વર્ષોમાં આતંકવાદીઓને ઠાર મારવાની સંખ્યા ઘણી મોટી છે. પાકિસ્તાને કાશ્મીરમાં પરિસ્થિતિ ખરાબ કરવા માટે ૨૦૧૭માં એડીચોટીનું જોર લગાવ્યું હતું. તો ૨૦૧૭માં ૨૦૧૧ બાદ સૌથી વધુ ઘૂસણખોરીની ઘટનાઓ સામે આવી હતી.પાકિસ્તાન તરફથી ૨૦૧૭માં ઘૂસણખોરીની ૪૦૬ કોશિશો કરવામાં આવી છે. તેમાં સૌથી વધારે ૮૪ વખત કેરન સેક્ટરમાં જ્યારે ૬૧ વખત માછિલ સેક્ટરમાં આતંકવાદીઓએ ઘૂસણખોરીની કોશિશ કરી છે. તેના સિવાય તંગધારમાં પણ ૪૮ વખત ઘૂસણખોરીની ઘટનાઓ સામે આવી છે. આતંકવાદીઓની નવી સાજિશ અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની ખુરાફાતી હરકતો એ વાતનો ઈશારો કરી રહી છે કે હિંદુસ્તાનના સુરક્ષાદળોને પાકિસ્તાની આતંકવાદીઓના ખાત્મા માટે ફરી એકવાર મોટી સ્ટ્રાઈક કરવાની જરૂરત પડવાની છે.