ભારે ચર્ચા જગાવી રહેલી વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતની રજૂઆતને લઇને સુપ્રીમ કોર્ટે મંજુરી આપી હોવા છતાં હજુ પણ સંકટના વાદળો ઘેરાયેલા છે. કારણ કે, રાજપૂત કરણી સેના અને અન્ય રાજપૂત સંસ્થાઓએ આની સામે જોરદાર વાંધો ઉઠાવ્યો છે. રાજપુત કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રસિંહ કાલવીએ પદ્માવત ફિલ્મ નિહાળવાનો હવે ઇન્કાર કરી દીધો છે. સોમવારના દિવસે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કર્યા બાદ કાલવીએ કહ્યુ હતુ કે તેઓ પદ્માવત ફિલ્મ નિહાળવા માટે તૈયાર છે. પરંતુ સંજય લીલા ભણશાળીએ ફિલ્મ દર્શાવવા માટે તારીખ દર્શાવી નથી. પરંતુ આજે કાલવીએ તેમનુ નિવેદન બદલી નાંખ્યુ હતુ અને કહ્યુ હતુ કે તેઓ ફિલ્મ નિહાળનાર નથી. કાલવીએ એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે ભણશાળી ગ્રુપ તરફથી પત્ર આવ્યો હતો પરંતુ તે વિશ્વાસઘાત સમાન હતો. તે ઇચ્છતા હતા કે અમે ફિલ્મ નિહાળવા માટે ઇન્કાર કરીએ. તેઓ આજે પોરબંદર પહોંચી રહ્યા છે. સેન્સર બોર્ડે પણ માત્ર ત્રણ લોકોને ફિલ્મ દર્શાવી હતી. છ લોકોને ફિલ્મ દર્શાવવામાં આવી ન હતી. કાલવીએ ધમકી આપી છે કે જો ફિલ્મ રજૂ કરાશે તો ગંભીર પરિણામનો સામનો કરવો પડશે. કાલવીએ કહ્યુ હતુ કે અમે કહીએ છીએ ઓછુ અને કરીએ છીએ વધારે. આ ફિલ્મ ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે ત્યારે કરણી સેના અને અન્ય સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં પહોંચેલા કરણી સેનાના નેતા લોકેન્દ્રસિંહ કાલવીએ ગઇકાલે કહ્યું હતું કે, તેઓ ફિલ્મને જોવા માટે તૈયાર છે. અમે ક્યારેય એવું કહ્યું નથી કે, અમે આ ફિલ્મની નિહાળીશું નહીં. ફિલ્મ નિર્માતાએ એક વર્ષ અગાઉ અમને ખાતરી આપી હતી કે તેઓ અમારા માટે ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરશે. ભણશાલી પ્રોડક્શને ૨૦મી જાન્યુઆરીએ શ્રી રાજપૂત કરણી સેના અને રાજપૂત સભા જયપુરને પત્ર લખીને ફિલ્મ નિહાળવા માટે કહ્યું હતું અને એવી ખાતરી પણ આપી હતી કે, ફિલ્મમાં રાજપૂત સમાજની ગૌરવ ગાથા દર્શાવવામાં આવી છે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કર્યા બાદ લોકેન્દ્રસિંહ કાલવીએ કહ્યુ હતુ કે તેઓએ ફિલ્મ નિહાળવા માટે તૈયાર છે. જો કે આજે તેમને તેમનુ નિવેદન બદલી નાંખ્યુ હતુ અને ફિલ્મનો વિરોધ જારી રાખવાની જાહેરાત કરી હતી. કાલવીએ કહ્યુ હતુ કે રાજ્ય સરકારો આ ફિલ્મની રજૂઆતને લઇને વધારે ચિંતાતુર છે. તેમનુ કહેવુ છે કે ફિલ્મ રજૂ થવાની સ્થિતીમાં રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ભાંગી પડશે. ગુજરાતમાં મલ્ટીપ્લેક્સ વાળા ફિલ્મ દર્શાવવાનો ઇન્કાર કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે તેઓ ઇચ્છે છે કે જનતાની ભાવનાને લઇને તમામ લોકો નિર્ણય કરે. સિનેમાહોલવાળા આ ફિલ્મને દર્શાવવા માટે ઇન્કાર કરે તેમ અમે ઇચ્છીએ છીએ. અત્રે નોંધનીય છે કે કરણી સેનાના સમર્થકોએ દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન કરીને પદ્માવત ફિલ્મની રજૂઆતનો વિરોધ કર્યો છે. જુદા જુદા રાજ્યોમાં તોડફોડ કરવામાં આવી ચુકી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા કોર્ટમાં અપીલ કરીને તેના અઇગાઉના ચુકાદાની સમીક્ષા કરવા માટે અને તેમાં સુધારો કરવા માટે અપીલ કરી છે. ચક્કાજામ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મ ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવશે કે કેમ તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત હજુ આવ્યો નથી. સુપ્રીમ કોર્ટે ફિલ્મને ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવા માટેની લીલીઝંડી આપ્યા બાદથી રાજપુત સમુદાયમાં નારાજગી સતત વધી રહી છે. વિરોધ વધુ તીવ્ર બને તેવા સંકેત પણ દેખાઇ રહ્યા છે.
પાછલી પોસ્ટ