રાજકોટના રીબડાના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાની રિવોલ્વરથી તેમના જ ઘરે ગામની સહકારી મંડળીના મંત્રીએ આપઘાત કર્યો છે.. પોલીસે આ ઘટના ધ્યાને આવતા તુરંત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ પંચનામા સહિતની કામગીરી હાથ ધરી છે. જોકે આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પોલીસે આર્થીક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવા પર શંકા વ્યક્ત કરી છે.
બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ છે.આ અંગે જાણવા મળતી વિગત મુજબ બુધવારે બપોરે રીબડાના પાદરમાં આવેલા ભૂતપૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના બંગલામાં સહકારી મંડળીના મંત્રી ગૌતમ ઉપાધ્યાય મૃત હાલતમાં પડ્યાનો ફોન બંગલાના સફાઇ કામદારે મહિપતસિંહને કર્યો હતો. જાણ થતાની સાથે તેઓ દોડી આવ્યા ત્યારે લોહીથી લથબથ ગૌતમ મૃત હાલતમાં પડ્યો હતો. બાજુમાં તેમની પરવાનાવાળી પિસ્તોલ પડી હતી. જેને લઇ આત્મહત્યા કર્યાનું સ્પષ્ટ થયું હતું.
ગૌતમ ઉપાધ્યાય કોઇ બેન્કના ચક્કરમાં ફસાયાનું બહાર આવી રહ્યું છે.ગૌતમ ઉપાધ્યાએ આપઘાત કરતા પહેલા રીબડાના તલાટી મંત્રીને વીડિયો કોલ કરી બાપુની તબિયત અને દવાનું ધ્યાન રાખવા ભલામણ કરી હતી અને મારાથી ખોટુ થઇ ગયું છે.હું જિંદગીનો અંત આણુ છું તેવું જણાવ્યું હતું. દરમિયાન જે રૂમમાં બનાવ બન્યો તે રૂમને તાળુ હતું. પરંતુ બંગલાની ચાવી ક્યાં રહેતી તે અંગે ગૌતમ ઉપાધ્યાય સારી રીતે વાકેફ હોય તેણે તાળાબંધ રૂમ ખોલી ગાદલા નીચે રાખેલી મહિપતસિંહની પરવાનાવાળી રિવોલ્વર લઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે અને ગૌતમ ઉપાધ્યાયે કેમ આવુ પગલુ ભર્યું તથા આ રિવોલ્વર અંગે તેમને કેવી રીતે ખબર હતી વગેરે બાબતોની તપાસ હાથ ધરી છે.