વર્ષો પહેલાંના બાકી લ્હેણાંની વસૂલાતમાં દાખવાયેલી ગંભીર બેદરકારી અને સંબંધિત જામીનદારો વિરૂધ્ધ બિનજરૂરી લિટિગેશન્સ કરી હેરાનગતિ કરવા બદલ અત્રેની કોમર્શીયલ કોર્ટના ન્યાયાધીશ આર.ટી.વાચ્છાણીએ ગુજરાત ઇન્ડ્સ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન(જીઆઇઆઇસી)ને એક લાખ રૂપિયાનો આકરો સબકસમાન દંડ ફટકાર્યો છે. એટલું જ નહી, કોર્ટે દંડની આ રકમ સીટી સિવિલ કોર્ટની લીગલ એઇડ કમીટીમાં પંદર દિવસમાં જમા કરાવવા જીઆઇઆઇસીને ફરમાન કર્યું છે. કોર્ટે સંબંધિત જામીનદારો પાસેથી લ્હેણાં વસૂલવાના ભાગરૂપે જીઆઇઆઇસી દ્વારા કરાયેલી દાવા અરજી પણ ફગાવી દીધી હતી. વધુમાં, કોર્ટે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇ આ હુકમની નકલ કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય અને રાજયના નાણાં મંત્રાલયને મોકલી આપવા પણ રજિસ્ટ્રીને હુકમ કર્યો હતો કે જેથી આવા કિસ્સાઓમાં અને આવી અન્ય ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયુશન્સ વિરૂધ્ધ સરકારના સત્તાવાળાઓ યોગ્ય કાર્યવાહી કરી શકે. કોર્ટે આ સમગ્ર પ્રકરણમાં જીઆઇઆઇસીના કસૂરવાર અધિકારીઓ વિરૂધ્ધ કાયદાનુસાર પગલા લેવા પણ સક્ષમ સત્તાવાળાઓને હુકમ કર્યો છે. જીઆઇઆઇસીના બેદરકારીભર્યા વલણની કોર્ટે આકરી ઝાટકણી કાઢી હતી. આ કેસની વિગત એવી છે કે, જીઆઇઆઇસીને ૨૦ વર્ષ પહેલાં મુંબઇના કેટલાક લેણદારો પાસેથી રૂ.૯૦ લાખ જેટલી રકમ વસૂલવાની થતી હતી પરંતુ તેમાં ભારે વિલંબ થઇ ગયો હતો. પાછળથી જીઆઇઆઇસી દ્વારા મુખ્ય લેણદારોને મામલામાંથી પડતા મૂકી તેમના જામીનદારો વિરૂધ્ધ દાવો દાખલ કરાયો હતો અને બાકી લ્હેણાંની વસૂલાતની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જો કે, જામીનદારો વિરૂધ્ધ જરૂરી પુરાવા રજૂ કરવામાં અને એકઝીકયુશનના મામલે જીઆઇઆઇસી નિષ્ફળ રહ્યું હતું. જેની કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. કોર્ટે આ સમગ્ર કેસમાં જાહેર દેવાની વસૂલાતની પ્રક્રિયામાં જાહેર જવાબદેહી અને વૈધાનિક ફરજ નિભાવવામાં જીઆઇઆઇસી સદંતર નિષ્ફળ રહી હોવાની ગંભીર ટીકા કરી હતી. જીઆઇઆઇસીના આવા બેજવાબદાર વલણના કારણે સરકારની તિજોરીને પણ ચાર કરોડથી વધુની રકમનું બહુ મોટુ આર્થિક નુકસાન થયુ હતુ, તેની પણ કોર્ટે ગંભીર નોંધ લીધી હતી.
પાછલી પોસ્ટ