વડોદરાના અટલાદરા ગામમાં વેરાઇ માતાના મંદિરના ઓટલા પર બ્લેંકેટમાં વીંટાળેલી ગરમ કપડાં સજ્જ દોઢ વર્ષની બાળકી ગઇકાલે લાવારીસ મળી આવી હતી. આ બાળકીને હાલ વડોદરા શહેરના નિઝામપુરા ખાતે આવેલા શિશુગૃહમાં રાખવામાં આવી છે. આ બાળકીનું નામ શિશુગૃહ દ્વારા પ્રિયાંશી રાખવામાં આવ્યુ છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ આજે બાળકીને મળવા માટે શિશુગૃહ ખાતે પહોંચ્યા હતા. અને બાળકી પર વ્હાલ વરસાવ્યુ હતુ. વડોદરા શહેરના અટલાદરા ગામમાં આવેલા વેરાઇ માતાના મંદિરના ઓટલા પર ગઇકાલે રવિવારે સવારે બ્લેન્કેટમાં વીંટાળેલી બાળકી પડી હતી. ત્યારે શાકભાજીની લારી ચલાવતા યુવાન કૌશિક ગાંધીની નજર બાળકી પર પડી હતી. ત્યારબાદ બાળકીને શિશુગૃહમાં મોકલી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા બાળકીના માતા-પિતાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દરમિયાન વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને મેયર ભરત ડાંગર બાળકીને મળવા માટે શિશુગૃહ ખાતે પહોંચ્યા હતા અને બાળકી પર પોતાનું વ્હાલ વરસાવ્યુ હતુ. આ સમયે ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. મંદિરમાંથી મળી આવેલી દોઢ વર્ષની બાળકીનું નામ પ્રિયાંશી પાડવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યુ હતુ કે, આ બાળકી તેની માતાને શોધી રહી છે. હું મીડિયાના માધ્યમથી બાળકીની માતાને હું કહું છુ કે, તમારી બાળકીને આવીને લઇ જાઓ. આ બાળક તેની માતા પાસે પહોંચે તેવો અમારો પ્રયાસ રહેશે.વડોદરાના નિઝામપુરા સ્થિત શિશુગૃહમાં રોજ અનેક બિનવારસી હાલતમાં મળેલા બાળકો આવે છે. ત્યારે આવા મા વિહોણા બાળકો પર હેત વરસાવવા માટે વડોદરાના સાંસદ આવે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે.