નોટબંધી અને જીએસટીના કારણે ભારે મુશ્કેલીનો સામનો કર્યા બાદ હવે પ્રાથમિકતાના આધાર પર ટ્યુરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવાના હેતુસર સામાન્ય બજેટમાં એલટીએ અને એલટીસીના ક્ષેત્રને વધુ વિસ્તૃત કરવામાં આવે તેવી શક્યતા છે. હોટલ અને અન્ય ખર્ચને પણ સામેલ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ટેક્સ બેનિફિટના હેતુસર પ્રવાસ ઉપરાંત હોટલ અને અન્ય ખર્ચનો સમાવેશ કરીને એલટીએના ક્ષેત્રને લંબાવવામાં આવશે.જીએસટી અને નોટબંધીના કારણે હોટેલ અને રેસ્ટોરન્ટની સામે હાલમાં કેટલીક તકલીફો આવી ચુકી છે. આ સંબંધમાં ટોપ સ્તરે રજૂઆત કરવામાં આવી ચુકી છે. હવે અનવેક પ્રકારના પડકારો વચ્ચે મોદી સરકાર સામે ટ્યુરિઝમ સેક્ટરમાં નવા પ્રાણ ફુંકવા માટે પણ દબાણ છે. સરકાર આ ક્ષેત્રને પ્રાથમિકતા આપવાની વાત વારંવાર કરતી રહી છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર વેળા પણ આ વાત કરતા રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાણામંત્રાલય દ્વારા દર વર્ષે કર્મચારીઓને લીવ ટ્રાવેલ કન્સેશન (એલટીસી) અને લીવ ટ્રાવેલ્સ એલાઉન્સ (એલટીએ)ને મંજુરી આપવાની દરખાસ્ત ઉપર વિચારણા કરી રહી છે. હાલમાં એલટીએ અથવા તો એલટીસી માત્ર ઇકોનોમિ ક્લાસ વિમાની પ્રવાસ અથવા તો ફર્સ્ટક્લાસ એસી ક્લાસ રેલવે ભાડાને આવરી લે છે. આ સંદર્ભમાં બજેટમાં જાહેરાત કરવામાં આવી શકે છે. નાણાપ્રધાન અરુણ જેટલી બજેટ રજૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાથી જ ટ્યુરિઝમને પ્રોત્સાહન આપવાની વાત કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં બજેટમાં એલટીએ અને એલટીસીના સ્કોપને વધારીને પ્રોત્સાહન આપવામાં આવી શકે છે. નિષ્ણાતોનો અભિપ્રાય છે કે, ટ્યુરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવાથી જુદા જુદા પ્રદેશોના વિકાસને પ્રોત્સાહન મળશે. સાથે સાથે રોજગારીની તકો પણ સર્જાશે. સ્થાનિક પ્રવાસને પ્રોત્સાહન આપવા કેટલીક રાહતો પણ જારી થશે જેના ભાગરુપે વ્યક્તિગતોને કેટલીક ટેક્સ રાહતો પણ મળી શકે છે.
જાણકાર લોકોનું કહેવું છે કે, દર નાણાંકીય વર્ષ માટે એક યાત્રામાં છુટછાટ વધારીવી જોઇએ. હોટલમાં રોકાણ માટે પણ ટેક્સ રાહતો ઉપલબ્ધ થાય તે જરૂરી છે. આમા પરિવારને મદદરુપ થાય તેવો હેતુ રહેલો છે. ભારતમાં ટ્યુરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ઘણો અવકાશ રહેલો છે.